ભુજ, તા. 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
દીર્ઘદૃષ્ટિ અને માર્ગદર્શન હેઠળ સાકાર થયેલા ભુજ સ્થિત એશિયાના સૌથી મોટા સ્મૃતિવન
મેમોરિયલ અને મ્યુઝિયમની મુલાકાત વેળાએ ઓલ ઈન્ડિયા એન્ટિ ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય
અધ્યક્ષ મનિન્દરજિતસિંહ બિટ્ટાએ જણાવ્યું હતું કે,
સ્મૃતિવન માત્ર સ્મારક નથી, તે કચ્છી માડુઓની આપત્તિમાંથી
બેઠા થવાની લોકખુમારીનું જીવંત તીર્થસ્થાન છે. વિનાશમાંથી ફરી ઊભા થઈને વિકાસના સર્વોચ્ચ
શિખરો સર કરવાની કચ્છની આ અદ્વિતીય વિકાસયાત્રા સમસ્ત દેશવાસીઓ માટે ઊર્જા અને પ્રેરણાનો
અખૂટ સ્રોત ગણાવી શ્રી બિટ્ટાએ ભૂકંપના દિવંગતોને ભાવાંજલિ અર્પણ કરી હતી. ડાયરેક્ટર
મનોજકુમાર પાંડે સાથે તેમણે સ્મૃતિવન મ્યુઝિયમમાં કંડારાયેલી કચ્છની ભૌગોલિક અને સાંસ્કૃતિક
વિરાસત, આપત્તિ સામે માનવજાતનો સંઘર્ષ દર્શાવતી વિવિધ અત્યાધુનિક
દીર્ઘાઓ (ગેલેરીઓ), ઈન્ટરેક્ટિવ મોડલ્સ તથા વિશેષ કક્ષોનું નિરીક્ષણ
કર્યું હતું. મ્યુઝિયમના એજ્યુકેટર્સ (ગાઈડ) દ્વારા તેમને સમગ્ર સ્મૃતિવન પ્રોજેક્ટની
સંકલ્પના અને તેની પાછળ રહેલી આધુનિક ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ
વેળાએ સી.આઈ.એસ.એફ.ના જવાનો, સ્મૃતિવન મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ
તથા પ્રશાસનિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.