મુંદરા, તા. 29 : રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્ય
સરકાર દ્વારા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં 101 નવી એસટી બસનું લોકાર્પણ થયું, એમાં કચ્છને 7 નવી એસ.ટી. બસ ફાળવવામાં આવી છે. દરમિયાન, વીતેલા તહેવારની મોસમમાં પાંચ દિવસ દરમિયાન
કચ્છ એસ.ટી.એ વધારાના 83 રૂટ ચલાવીને
એમાંથી વધારાની રૂા. 4.26 લાખની કમાણી
કરી હતી. એસ.ટી.ના સત્તાવાર સૂત્રોએ આપેલી વિગત મુજબ, રક્ષાબંધનના નાયબ મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં
યોજાયેલા કાર્યક્રમમાં નવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં કચ્છને મળેલી સાત બસમાં ભુજ ડેપાને 4, મુંદરા ડેપોને 2 અને એક રાપર ડેપોને ફાળવવામાં આવી છે. આ
અગાઉ પણ સતત કચ્છને બસો ફાળવવામાં આવતી રહી છે અને ચાલુ વર્ષ દરમિયાન કચ્છ એસટીને મળેલી
નવી બસનો આંક આજની સાત બસ સાથે કુલ 40નો થયો છે. આગામી દિવસોમાં વધુ બસો મળવાની છે. દરમિયાન, મળેલી વિગત મુજબ કચ્છના તમામ ડેપોમાં વીતેલા
રક્ષાબંધનના દિવસોમાં માંગ વધતાં તા. 24/8થી તા. 28/8 સુધીમાં પાંચ
દિવસ દરમિયાન કુલ 83 વધારાના રૂટ
ચલાવવામાં આવ્યા હતા. આમાં 10,960 કિલોમીટરના
વધારાના સંચાલનમાં કચ્છ એસ.ટી.ને 4819 મુસાફરો પાસેથી કુલ રૂા. 4,26,432ની વધારાની આવક થઈ હતી.