ભુજ, તા. 17 : છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકા
દ્વારા ગટરનું ગંદુ પાણી માધાપરની નદીમાં છોડવામાં આવતા હોવાથી અહીં વસતા લોકોને ભારે
પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધના પગલે ઘરની અંદર લોકો નિરાંતનો શ્વાસ
પણ નથી લઇ શકતા. આ પાટી નદી લાંબી છે, એના કિનારે શાળા, બાલવાટિકા, વૃદ્ધાશ્રમ,
બગીચો તેમજ શાક માર્કેટ, મહાદેવ મંદિર જેવા ખૂબ
જ મહત્ત્વના સ્થળો આવેલા છે તેમજ પીવાના પાણીનો ટાંકો પણ નજીક જ આવેલો છે ત્યારે આ
દૂષિત પાણીને પગલે રોગચાળો ફેલાવાની શક્યતા પણ રહેલી છે. માધાપર એશિયાનું સૌથી શ્રેષ્ઠ
અને સમૃદ્ધ ગામ છે જ્યાં ત્રણ પંચાયત સેવા વિભાગ છે તેમ 15 જેટલી બેંકો આવેલી છે. અહીં
વસતા દરેક ગામવાસી ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે. આ બાબતે સાંસદ, ધારાસભ્ય સહિત તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં
આવી છે. આ પ્રશ્ન ઉકેલમાં સંભવત: મોટો ખર્ચ થાય એમ છે, પણ લોકોની
સમસ્યા ધ્યાને લઇ સત્વરે પગલાં ભરવા લોકમાંગ ઊઠી છે.