ભુજ, તા. 17 : અત્રેની ગેઇમ્સમાં સર્જરી વિભાગે
એક અઠવાડિયામાં ચાર બાળક અને એક યુવાનના પેટમાંથી અકસ્માતે ગળી જવાયેલા ઘન પદાર્થો અને દવાની ગોળીનો એન્ડોસ્કોપી દ્વારા સુરક્ષિત
રીતે પેટમાંથી નિકાલ કરવામાં આવ્યો હતો. અદાણી સંચાલિત ગેઇમ્સમાં જી.કે. જનરલ હોસ્પિટલના
સર્જન ડો. સિદ્ધાર્થ શેઠિઆએ કહ્યું કે, ભૂલથી કે રમતાં - રમતાં બાળકો મેગ્નેટનો
ટુકડો, લોખંડની ખીલી, બોટલનું ઢાંકણું
પેટમાં ગળી ગયા હતા. સમયસર તેમની અપ્પર જીઆઈ એન્ડોસ્કોપી કરવામાં આવી અને વધુ નુકસાન
થાય તે પહેલાં સલામત રીતે ગળેલા પદાર્થ દૂર કરી દેવાયા હતા. પેટમાં ઊતરી ગયેલા જોખમી
પદાર્થો લાંબો સમય રહે તો અવ્યવોમાં છિદ્ર, ચેપ કે આંતરિક ઇજા
કરી શકે છે. સર્જનના જણાવ્યા મુજબ એન્ડોસ્કોપીમાં પાતળી કેમેરાવાળી નળી મોઢાં દ્વારા
પેટ સુધી લઈ જવામાં આવે છે, જેમાં કોઈ કાપો કે ટાંકા નથી. દર્દીને
બેભાન કરવાની જરૂર પડતી નથી. ગળું સુન્ન કરવાની અને હળવી ઊંઘની દવા જ પૂરતી છે. સરેરસ
5-10 મિનિટમાં એન્ડોસ્કોપી પૂર્ણ
થાય ને તે જ દિવસે દર્દીને ઘરે લઈ જઈ શકાય છે. નાના સિક્કા, પિન, બેટરી, ચુંબક અને રમકડાંના ભાગો બાળકોની પહોંચથી દૂર રાખો. ખાતી-પીતી વખતે ઉતાવળ ન
કરવી. ગળવામાં તકલીફ, છાતીમાં દુ:ખાવો, ઊલટી કે પેટ દુ:ખે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો, ઘરગથ્થુ
ઉપાય ન કરવા, બળજબરીથી ઊલટી કરાવવી કે વધુ ખાવાનું આપવું જોખમી
સાબિત થઇ શકે છે.