• શનિવાર, 06 જૂન, 2026

અર્બન ફોરેસ્ટ શહેરોને ઠંડા રાખવા માટે કુદરતી એ.સી.ની ગરજ સારે છે

ભુજ, તા. 4 : આજે વધતાં શહેરીકરણના કારણે શહેરો વધુ ગરમ બની રહ્યાં છે, શહેરોમાં જૈવ વિવિધતા નાશ પામી રહી છે, ઇમારતો, ઉદ્યોગો અને વાહનોની સંખ્યા વધવાને કોંક્રિટના જંગલો બનેલાં શહેરોમાં વસતા મનુષ્યો કુદરતી વાતાવરણથી દૂર થઇ ગયા છે. આવા સમયમાં પ્રદૂષણ મુક્ત અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે `અર્બન ફોરેસ્ટ' એટલે કે શહેરી જંગલોનો ખ્યાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. - અર્બન ફોરેસ્ટ એટલે શું? : રાજ્ય સરકાર ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના મંત્ર સાથે શહેરીજનોને શુદ્ધ હવા માટે હરિયાળું સુરક્ષા કવચ આપવા કટિબદ્ધ છે. આ માટે રાજ્યનાં શહેરોમાં વન વિભાગ દ્વારા અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અર્બન ફોરેસ્ટ એટલે શહેરની અંદર અથવા તેની આજુબાજુના ખાલી વિસ્તારોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતાં નાના કે મોટા જંગલો. આમાં સ્થાનિક આબોહવાને અનુકૂળ હોય તેવાં વૃક્ષો, છોડ અને વેલાઓનું વાવેતર કરીને એક કુદરતી ઇકોસિસ્ટમ (પરિતંત્ર) તૈયાર કરવામાં આવે છે. હાલમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં `િમયાવાકી પદ્ધતિ' (ખશુફૂફસશ ખયાવિંજ્ઞમ) દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ગીચ શહેરી જંગલો બનાવવામાં આવી રહ્યાં છે, જે શહેરીજનો માટે લાભદાયક બની રહ્યા છે. - શહેરી વનીકરણ માટે ગુજરાત સરકારની પહેલ : ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં શહેરોને પ્રદૂષણ મુક્ત અને હરિયાળા બનાવવા માટે વન વિભાગ અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અનેક નવતર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, `વન કવચ' યોજના (જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ) હેઠળનાં જંગલો શહેરોમાં  `ઓક્સિજન પાર્ક' તરીકે કામ કરી રહ્યાં છે. હરિતવન પથ યોજના હેઠળ રાજ્યના હાઇ-વે, કોસ્ટલ હાઇ-વે અને શહેરોની આસપાસની ખાલી જમીનો પર લાખો રોપાનું વાવેતર કરીને ગ્રીન બેલ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રદૂષણ રોકી `એક પેડ મા કે નામ' અભિયાન, સામાજિક વનીકરણ અને સાંસ્કૃતિક વનો તથા સ્ટ્રીપ પ્લાન્ટેશન અને ગ્રામ વન હેઠળ રસ્તાઓ, નહેરોની બંને બાજુ વૃક્ષો વાવવા (સ્ટ્રીપ પ્લાન્ટેશન) અને પંચાયતોની ગૌચર જમીન પર `ગ્રામ વન' બનાવી હરિયાળી વધારવાની યોજનાઓ પણ ખૂબ જ સફળ રહી છે. આમ, અર્બન ફોરેસ્ટ (શહેરી જંગલો)એ શહેરોનાં પ્રદૂષણને ઘટાડવા અને પર્યાવરણને સંતુલિત રાખવા માટેનો એક ઉત્તમ પ્રયોગ છે. કચ્છની વાત કરીએ, તો કચ્છમાં શહેરોની આસપાસ જંગલ વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ભુજનું સ્મૃતિવન, સિંદૂરવન, પુનિતવન, રક્ષકવન, માધાપર સર્વોદય સ્પોર્ટસ ખાતે અર્બન ફોરેસ્ટનું નિર્માણ, વન કવચ યોજના હેઠળ કચ્છમાં 17 સ્થળ ઉપર 19 હેક્ટરમાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે. આમ, આ વનો શહેરોને ઠંડા રાખવા કારગર સાબિત થઇ રહ્યા છે. ખાસ ઉદાહરણ જોઇએ, તો ભુજનું સ્મૃતિવન ફોરેસ્ટ તાપમાન નિયંત્રિત કરવાથી લઇને ભુજ શહેરમાં ફરીથી જૈવ વિવિધતાને જીવંત કરી છે. અહીં પક્ષીઓ, કીટકો, પતંગિયા તથા પ્રાણીઓ માટે કુદરતી આશ્રયસ્થાન ઊભું થયું છે. ઘટાદાર વૃક્ષો પક્ષીઓ, ખિસકોલીઓ અને પતંગિયાઓ જેવાં નાના જીવોને નવું ઘર અને આહાર પૂરું પાડી રહ્યા છે. શહેરોમાં દોડધામ ભરેલી જિંદગી વચ્ચે આ જંગલ લોકોને હરવા-ફરવા માટેનું શાંત વાતાવરણ પૂરું પાડવા સાથે તણાવ દૂર કરવાનું કેન્દ્ર બન્યું છે. અર્બન ફોરેસ્ટ એ માત્ર શોખની વસ્તુ નથી, પરંતુ આગામી પેઢીના અસ્તિત્વ માટેની અનિવાર્ય જરૂરિયાત છે. જો આપણે શહેરોને જીવવાલાયક રાખવાં હોય, તો સરકારી પ્રયાસોની સાથે સાથે સામાન્ય નાગરિકોએ પણ વૃક્ષારોપણમાં ભાગ લેવો પડશે. `એક વ્યક્તિ, એક વૃક્ષ'ના સંકલ્પ સાથે જો દરેક શહેરીજન આગળ આવે, તો આપણા શહેરો ખરા અર્થમાં હરિયાળાં અને તંદુરસ્ત બની શકશે. 

Panchang

dd