ઘનશ્યામ મજેઠિયા દ્વારા : રાપર, તા. 15 : શહેરના આથમણે નાકે રત્નેશ્વર દાદાના સાનિધ્યમાં
અને માણસો કરતાં વધુ પશુઓ ધરાવતા રતનપરા (નવું પરું) વિસ્તારમાં આવેલું ઐતિહાસિક આંઢવાળુ
તળાવ બ્યૂટીફિકેશનને નામે સાવ બિનઉપયોગી બન્યું છે. ગત વર્ષે પડેલાં અનરાધાર વરસાદથી
આ અંડર કન્સ્ટ્રકશન જળાશય ઓવરફ્લો થયું ત્યારે થોડો ઉચાટ હતો કે પાળ તો નહીં તૂટી જાય
ને! અને હવે આ તળાવમાં તેની ડિઝાઇન મુજબ નથી પશુ પાણી પી શકતાં કે નથી લોકો પાણી ભરી
કે વાપરી શકતાં! ભૂતકાળમાં
આ તળાવમાં જ ચારથી પાંચ મીઠાં પાણીનાં કૂવા હતાં અને આખું નગર એ કૂવાનું પાણી પીતું.
કારણકે નર્મદા કેનાલ આવ્યાં પહેલાં રાપરમાં કોઈ મીઠાં પાણીનો સ્ત્રોત જ નહોતો. આવા
ઉપયોગી અને અનિવાર્ય જળસ્ત્રોતને બ્યૂટીફિકેશનને નામે અણઘડ ડિઝાઇન મુજબ તોડીને, ચારેબાજુ
પાળને પેચિંગ કરીને, અમુક આવ બંધ કરીને, આજુબાજુનાં અવાડા તોડીને સાવ તકલાદી કામ કરી
લોકો માટે બિનઉપયોગી બનાવી દેવામાં આવ્યું છે. આજુબાજુ મોટી સંખ્યામાં ગાય ભેંસ જેવા
પાલતુ અને વન્ય પશુઓ આ તળાવમાંથી જ પાણી પીતાં એ હાલમાં પાળ બાંધી નાખી હોવાથી તળાવ
ભરેલું હોવા છતાં તરસ્યા રહે છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદથી તળાવનું કામ પૂરું થયાં
પહેલાં જ ભરાઈ ગયું હતું. જેથી અધૂરા અને નબળા કામથી જોખમ સર્જાયું હતું. આ તળાવના
બાંધકામ પહેલા તત્કાલીન વહીવટદાર અને મામલતદાર ચૌધરીને પૂછતાં તેમણે આ તળાવ વોટર સ્ટોરેજ
માટે નહીં પણ પશુઓ અને લોકોને વપરાશ માટે અને માત્ર બ્યૂટીફિકેશન જ કરવામાં આવશે તેમ
જણાવ્યું હતું પરંતુ હાલમાં જે બનાવ્યું છે તે વોટર સ્ટોરેજ નગાસરનાં નકશે કદમ અને
સીમાડાઓમાં જે ચેકડેમ જેવું બનાવ્યું છે, જે નથી વોટર સ્ટોરેજમાં કામ આવે તેમ કે નથી
વપરાશમાં! 2022માં વિદાય લેતી નગરપાલિકાની
બોડીએ છેલ્લી સામાન્ય સભામાં આ તળાવના કામની દરખાસ્ત રજૂ કરી અને પછી બોડી પણ મુદ્દત પૂરી થવાથી બરખાસ્ત થઈ અને રાપર
નગરપાલિકાના ઈજનેર પણ નિવૃત્ત થયા. ત્યારબાદ ભગવાન ભરોસે કન્સ્ટ્રકશન એજન્સીએ કામ કર્યું
અને આજે ચાર વર્ષ વીતી જવા છતાં તળાવનું કામ પૂરું થયું નથી. તો પડેલા ભારે વરસાદે
નબળાં કામની પોલ ખોલી નાખી. સુધરાઈની છેલ્લી બે સામાન્ય સભામાં આ તળાવનાં કામનો મુદ્દો
ઊઠે છે. ગત સામાન્ય સભામાં તો ધારાસભ્યએ આ બાંધકામ એજન્સીને બ્લેક લીસ્ટેડ કરવાની ચેતવણી
આપી સંલગ્ન નગરસેવિકાના પતિનો ઉધડો પણ લીધો હતો. અત્યારે ભરેલાં તળાવની પાળને ફરતે
કોઈ ફેન્સિંગ કે આડશ નહીં હોવાથી કોઈ પશુ કે માણસનો તળાવમાં પડી જવાનો ડર રહે છે. આ
અંગે મુખ્ય અધિકારી તરૂણદાન ગઢવીને પૂછતાં તેમણે ડિઝાઇનમાં ફેરફાર કરાયો હોવાથી તળાવનું
કામ ઘોંચમાં પડતું હોવાનું જણાવી ભવિષ્યમાં જો જરૂર પડશે તો તેને પીવાનાં પાણીનો સ્ટોરેજ
બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. અલબત્ત તળાવનું બાંધકામ જોતાં તે સ્ટોરેજ જ બની
શકે તેમ છે. નવી ડિઝાઈન મુજબ તળાવનું બાંધકામ પૂર્ણ થાય, તેનું ઓગનનું બાંધકામ પૂર્ણ
કરી પાળ ઉપર ગ્રીલ નાખવામાં આવે અને તળાવનું મજબૂતીકરણ કરી તળાવની અન્ય ક્ષતિપૂર્તિ
કરી સાચા અર્થમાં તળાવને સુંદરતા અને ઉપયોગિતા બક્ષવામાં આવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા
છે.