• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

રાજય બારની ચૂંટણીનો કચ્છમાંયે જામ્યો જંગ

ભુજ, તા. 19 : રાજયભરના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી તા. 6માર્ચના યોજાશે. કચ્છ જિલ્લાના બે ધારાશાત્રી ભુજના મગનભાઈ રાજીયાભાઈ ગઢવી અને ગાંધીધામના પુનિતકુમાર એચ. દુધરેચીયાએ આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. બન્ને ધારાશાત્રીઓ દ્રવારા પ્રચારનું કાર્ય તેજ બનાવવા સાથે આ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. બાર કાઉન્સીલના 18 સામાન્ય અને પાંચ મહિલા અનામત મળી કુલ્લ 23 બેઠકની ચૂંટણી આગામી તા. 6/3ના યોજાશે. આ માટે રાજયમાં જયાંજયાં બાર એઁસો. છે ત્યાં મતદાન યોજાશે. કચ્છ જિલ્લામાં વિવિધ નવ બાર ખાતે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. મતદાન માટે પ્રેફરન્સીયલ મત આપવાના રહેશે. આ ચૂંટણી માટે કચ્છના  બે  વકીલ સહિત રાજયના કુલ્લ 97 ધારાશાત્રી મેદાનમાં છે.  ભુજના મગનભાઈ ગઢવી અને  ગાંધીધામના પુનિતકુમાર દુધરેચીયાની ઉમેદવારી સાથે કચ્છમાં પણ ચૂંટણીની પ્રક્રિયા અને  પ્રચાર સહિતનો માહોલ તેજ બન્યો છે. કચ્છ સિવાયના રાજયના અન્ય જિલ્લાના ઉમેદવારોની આ અન્વયે કચ્છની આવનજાવન હાલે નિયમિત બની છે. અત્યાર સુધી જિલ્લા બહારના  ચાળીસેક ઉમેદવાર કચ્છની મુલાકાતે આવી ચૂકયા છે.  તો આ પ્રક્રિયા ચૂંટણી નજીક આવતા આવનારા સમયમાં વધુ તેજ બનશે. દરમ્યાન સ્થાનિકેથી આ ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભુજના મગનભાઈ ગઢવી અગાઉ  રાજય બાર કાઉન્સીલની શિષ્ત સમિતિમાં કો-ઓપ્ટ સભ્ય રહી ચુકયા છે. હાલે તેઓ નરેન્દ્ર મોદી વિચાર મંચના લિગલ સેલના રાજયના પ્રમુખ તરીકે તથા વકીલોના રાષ્ટ્રિય ફોરમમાં મહામંત્રી પદે સેવા આપી રહયા છે. પ્રચાર અંતગર્ત તેમણે કચ્છ સહિત રાજયના વિવિધ બારના સભ્યો સાથે મુલાકાત-સંવાદ કર્યો હતો. તેમના દ્રવારા ભુજ ખાતે ચૂંટણીના સેવા સેતુ કાર્યાલયનું ઉદઘાટન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ ગોપાલ આહિર અને વકીલમિત્રો હાજર રહયા હતા. જયારે ગાંધીધામના વતની કચ્છના ઉમેદવાર પુનિતકુમાર દુધરેચીયા નોટરીની પદવી પણ ધરાવે છે. તેઓ અગાઉ ગાંધીધામ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પણ રહી ચુકયા છે. તેમના દ્રવારા પણ કચ્છ સહિતના રાજયના  વિવિધ બારની મુલાકાત લઈ વકીલમિત્રો સાથે બેઠકો યોજી સંવાદ કર્યો હતો. દરમ્યાન આ ચૂંટણીમાં મુળ કચ્છના વતની પરિવારના વરિષ્ઠ ધારાશાત્રી અનિલ સી. કેલાએ પણ ઝુકાવ્યું છે. તેઓ અગાઉ બાર કાઉન્સીલમાં છ વખત ચૂંટાઈ ચૂકયા છે. તો સર્વોચ્ચ પદ ચેરમેન અને અન્ય સમિતિઓમાં પણ સેવા બજાવી ચૂકયા છે. પ્રચાર અંતગર્ત તેમણે પણ તાજેતરમાં કચ્છની બે દિવસની મુલાકાત લીધી હતી અને જુદાજુદા છ બારને તેઓ મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર કાઉન્સીલમાં ભુતકાળમાં કચ્છના વરિષ્ઠ ધારાશાત્રી બહાદુરસિંહભાઈ એસ. જાડેજા સતત ચાર ટર્મ સુધી ચૂંટાયા હતા. બાર કાઉન્સીલના સંકુલના નિર્માણમાં તેમની મહેનત અગ્ર રહી હતી. ગત વખતની ચૂંટણીમાં કચ્છમાંથી ચાર ઉમેદવાર આ ચૂંટણી લડયા હતા. 

Panchang

dd