અંજાર, તા. 29 : અંજારમાં નવી કોર્ટની પાછળના
ભાગના બિસમાર માર્ગ ઉપરથી વહેતા ગટરનાં દૂષિત પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો
સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાને રજૂઆત કરીને તાકીદે પગલાં ભરવા માંગ કરવામાં
આવી છે. અહીં માર્ગની હાલત અત્યંત ખરાબ છે અને માર્ગની વચ્ચેથી ગટરનું દૂષિત પાણી વહન
થાય છે, શહેરની બે ખાનગી શાળામાં મોટી સંખ્યામાં અભ્યાસ
કરતા વિદ્યાર્થીઓ અને તેઓને શાળાએ લેવા મૂકવા આવતા અસંખ્ય વાલીને ગંભીર પરિસ્થિતિનો
સામનો કરવો પડે છે. આ માર્ગ પરથી દરરોજ અસંખ્ય ખનિજ ભરેલી ટ્રકોની અવરજવર વિદ્યાર્થીઓ
માટે જોખમીરૂપ છે, પરંતુ ટ્રકોની અવરજવરના કારણે માર્ગની હાલત
પણ અતિશય ખરાબ થયેલી છે, જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને
ગટરના દૂષિત પાણીગ્રસ્ત માર્ગ પરથી ન છૂટકે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. માર્ગની
દયનીય હાલત અંગે ગત તા.20 જૂનના અંજારની
ડી.એ.વી. પબ્લિક સ્કૂલના મેનેજિંગ ડિરેકટર દ્વારા અંજાર નગરપાલિકાને આ જોખમી માર્ગની
મરામત કરવા અંગે રજૂઆત કરી હતી તેમજ અંજાર
વાલી મંડળના અશોકભાઇ સોનીએ આ જોખમી માર્ગને કાયમી ધોરણે પાકો બનાવવું જરૂરી હોવાનું
જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અહીંથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ
અને વાલીઓ અવરજવર કરે છે તેમજ દરરોજ એ માર્ગ પરથી વહી રહેલાં ગટરનાં નાળાંમાં વાહનો
ફસાઈ જતા ચાલકોને પણ ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ચોમાસુ શરૂ થઈ ગયું હોતા ખૂબ મોટા પ્રમાણમાં વહેતાં પાણીના
કારણે અકસ્માતની ભીતિ પણ સતાવી રહી છે. જો તંત્ર દ્વારા આ બાબતે કાયમી ઉકેલ લાવવામાં
આવે, તો આ માર્ગનો દરરોજ ઉપયોગ કરતા લોકોને ખૂબ મોટી રાહત મળી
શકે છે. તેમ જણાવ્યું હતું.