મુંબઈ, તા. 29 : તામિલનાડુ જેવાં દક્ષિણી રાજ્યોમાં
હિન્દી ભાષા થોપવાના આરોપો, વિવાદો વચ્ચે
મહારાષ્ટ્રની ભાજપ સરકારે રવિવારે એક મોટાં પગલાંમાં રાજ્યની શાળાઓમાં હિન્દી ફરજિયાત
કરવાનો ફેંસલો રદ કરી નાખ્યો હતો. ચાલુ વરસે જ એપ્રિલ મહિનામાં પહેલાંથી પાંચમાં ધોરણ
સુધી ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત કરવાના સરકારે જારી કરેલા આદેશનો વિપક્ષી
છાવણી સતત વિરોધ કરતી રહી હતી, સાથોસાથ કેસરિયા પક્ષની સરકારે
ત્રણ ભાષાનીતિની સમીક્ષા અને અમલ માટે એક નવી સમિતિની રચના કરવાની ઘોષણા પણ કરી હતી.
બન્ને નાયબ મુખ્ય પ્રધાનોને સાથે રાખીને પત્રકાર
પરિષદ સંબોધતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ત્રણ ભાષાનીતિની સમીક્ષા માટે શિક્ષણવિદ્ નરેન્દ્ર જાધવના વડપણ હેઠળ એક સમિતિની
રચના કરી દેવાઈ છે, જેનો અહેવાલ મળ્યા પછી જ હિન્દીની ભૂમિકા
પર અંતિમ ફેંસલો લેવાશે. આવતીકાલ સોમવારથી મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ
થઈ રહ્યું છે, તેના એક દિવસ પહેલાં જ ફડણવીસ સરકારે આ મહત્ત્વની
ઘોષણા કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સમિતિની ભલામણો
નહીં આવે, ત્યાં સુધી ત્રણ ભાષાનીતિ સંબંધિત બન્ને જીઆર રદ કરાય
છે. અમારા માટે મરાઠી ભાષા જ કેન્દ્રબિંદુ છે. દરમ્યાન, હિન્દી
ભાષા વિવાદને લઈને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પાંચમી જુલાઈના મુંબઈમાં સંયુક્ત રેલી
યોજવાની તૈયારી કરી હતી. જો કે, ભાજપ સરકારના ભાષાનીતિ હાલતુરત
રદ કરવાના ફેંસલા બાદ રેલીનો ફેંસલો રદ કરી દેવાયો હતો. હકીકતમાં, મહારાષ્ટ્ર સરકારે ચાલુ વર્ષે જ 16મી એપ્રિલમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત કરવાના ફેંસલાની
ઘોષણા કરી હતી. પહેલાંથી પાંચમાં ધોરણ સુધીના છાત્રો ત્રીજી ભાષા તરીકે હિન્દી સિવાય
પણ કોઈ બીજી ભારતીય ભાષાઓ પસંદ કરી શકે છે, તેવી માંગ સાથે વિપક્ષી વિરોધ બાદ આખરે આજે આ મહત્ત્વનો ફેંસલો લેવાયો હતો.
શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહાયુતિ
સરકારનો ફેંસલો રાજ્યમાં `ભાષા કટોકટી' ઘોષિત કરવા જેવો છે. પૂર્વ મુખ્યપ્રધાને જણાવ્યું
હતું કે, અમારો પક્ષ ભાષાનાં રૂપમાં હિન્દીનો વિરોધ કરતો નથી,
પરંતુ મહારાષ્ટ્રમાં હિન્દી થોપવાનો વિરોધ છે.