ભુવનેશ્વર, તા. 29 : ઓરિસ્સામાં પુરીમાં જગન્નાથ
યાત્રા બાદ રવિવારની બપોરે ચારેક વાગ્યાના અરસામાં અચાનક ભાગદોડ મચી હતી. આ લોહિયાળ
બનેલી દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થઈ ગયાં હતાં,
તો અન્ય 50 લોકો ઘાયલ
થઈ ગયા હતા. મુખ્યમંત્રી મોહનચરણ માઝીએ ભગવાન જગન્નાથના ભક્તોની માફી માગી હતી અને
અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતાં વિકાસ કમિશનરની દેખરેખ હેઠળ ઘટનાની તપાસનો
આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ભાગદોડનો ભોગ બનેલા મૃતકોના પરિવારોને
25-25 લાખની મદદની ઘોષણા કરાઈ હતી.
માઝી સરકારે તરત જ કડક પગલાં લેતાં પુરીના કલેક્ટર અને પોલીસવડાની બદલી કરી નાખી હતી.
ડીસીપી વિષ્ણુપતિ અને કમાન્ડન્ટ અજય પાધીને ફરજમાં લાપરવાહી બદલ ફરજમોકૂફ કરી દેવાયા
હતા. પુરીની રથયાત્રામાં ભગવાન જગન્નથા, બળભદ્ર અને સુભદ્રાના રથોને તેમના માસીના ઘર ગુંડિચા મંદિર સામે નવ દિવસ માટે
ઊભાડાય છે. બલભદ્ર અને સુભદ્રાના રથ પહેલાંથી પહોંચી ચૂક્યા હતા. ભગવાન જગન્નાથનો રથ
પાછળથી પહોંચ્યો હતો. આ રથનાં દર્શન કરવાની ભક્ત સમુદાયમાં હોડ લાગી હતી. એ દરમ્યાન
જ ભાગદોડ મચી હતી. ભાગદોડમાં પડી જતાં કેટલાક લોકો કચડાયા હતા. આ ઘટના સર્જાઈ તે વખતે
પૂરતી સંખ્યામં પોલીસ જવાનો તૈનાત કરાયા નહોતા, તેવું જાણવા મળ્યું
હતું. મૃતકોમાં 36 વર્ષીય બસંતી
શાહ, 78 વર્ષીય પ્રેમકાંતિ
મહાકાંતિ અને 42 વર્ષીય પ્રભાતી દાસ તરીકે ઓળખ
થઈ હતી. ઘાયલો અને મૃતકોને પુરીની મેડિકલ કોલેજમાં લઈ જવાયા હતા. ભાગદોડમાં સ્વજનો
ખોનાર પરિવારજનોના હોસ્પિટલ બહાર કલ્પાંતથી કરુણ દૃશ્યો જોવાં મળ્યાં હતાં. ભગવાન જગન્નાથનો
નંદીઘોષ રથ બપોરે 1 અને 11 મિનિટે ગુંડિચા મંદિરે પહોંચી
ગયો હતો. જેનાં દર્શને ઊમટેલી ભીડમાં ભાગદોડ જીવલેણ બની હતી. મુખ્યમંત્રી મોહનચરણ માંઝીએ
`એક્સ'
પરથી ઘટના બદલ માફી માગી હતી. તેમણે નોંધ્યું હતું કે, આ લાપરવાહી માફ કરવા લાયક નથી. હું અને મારી સરકાર ભગવાન જગન્નાથના ભક્તોની
ક્ષમા માગીએ છીએ. જીવ ખોનાર ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના છે. સુરક્ષામાં ચૂકની
તપાસ શરૂ કરી દેવાઈ છે અને દોષી હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે તેવી ખાતરી
મુખ્યમંત્રીએ આપી હતી.