• સોમવાર, 30 જૂન, 2025

આષાઢી બીજે ગગન ગજવી વરસ્યા મેહ...

ભુજ, તા. 27 : મધ્યપ્રદેશ પર સર્જાયેલા અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહેલા શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરે ગઇકાલથી કચ્છના જુદા-જુદા વિસ્તારમાં પવન, ગાજવીજના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલી વરસાદની હેલી આજે આષાઢી બીજે પણ ચાલુ રહી હતી અને ભુજ, માંડવી, મુંદરા, નખત્રાણા, અબડાસા સહિતના વિસ્તારમાં પોણાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળે છે. - ભુજમાં ઝાપટાં સ્વરૂપે હાજરી : ગઈકાલે રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે આવેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, તો અનેક ઝાડ પડી ગયા હતા તેમજ હોર્ડિંગ પણ ધરાશાયી થયા હતા. આ વરસાદ જિલ્લા કન્ટ્રોલ રૂમમાં 11 મિ.મી. નોંધાયો હતો, ત્યારબાદ આજે સાંજે ચારેક વાગ્યે મેઘરાજાએ ઝાપટાં સ્વરૂપે હાજરી નોંધાવી હતી. - ખાવડા-પચ્છમમાં અડધાથી બે ઇંચ : સખત બફારાથી ત્રાસી ગયેલા લોકોને ગઇ રાત્રે 11 વાગ્યા પછી ધોધમાર વરસાદ થતાં ઠંડક પ્રસરતાં રાહત મળી હતી. અહીં અડધા કલાકમાં અંદાજે ધોધમાર સાથે અડધો ઇંચ વરસાદ પડયો હતો. ત્યારબાદ સવારે અડધા કલાકમાં અંદાજે એકાદ ઇંચ વરસાદ પડતાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું પ્રતિનિધિ હીરાલાલ રાજદેએ જણાવ્યું હતું, તો પચ્છમનાં ગામડાંઓમાં પણ ઝાપટાંથી પાણી વહી નીકળ્યાં હતાં. આ વરસાદને પગલે ખાવડામાં ખેડૂતો એરંડા-ગુવારની વાવણીમાં જોતરાશે એવું ખેડૂત અગ્રણીએ કહ્યું હતું. - પચ્છમ-પાશીમાં ધીમી ધારે વરસાદ શરૂ : નાના દિનારાથી પ્રતિનિધિ ફઝલ અલીમામદના જણાવ્યા અનુસાર પચ્છમ-પાશીના વિસ્તારમાં ગઇરાતથી સવાર સુધી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. સોયલાના અમીર નોડેના જણાવ્યા અનુસાર સોયલા, મીંઢિયારા, ગોડપર, ખારી, અંધૌમાં વરસાદ શરૂ થયો છે. ધોરાવરથી ગફુર મિંયાજીએ જણાવ્યું હતું કે, ધોરાવર, રબવીડી, તુગા, જામકુનરિયામાં ગત રાત્રે અને સવારે પણ વરસાદ પડી રહ્યો છે. હજુ વાદળો ઘેરાયેલા છે, તો રતડિયા, નાના-મોટા દિનારા, ધ્રોબાણા, મોટાગામ સહિતનાં ગામે પણ મેઘરાજા વરસી રહ્યા છે. પચ્છમ-પાશીના વરસાદથી પશુપાલકો-ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફરી વળી છે. - કોટડા ચકાર પંથકમાં ધોધમાર : તાલુકાના લક્કી ડુંગર વિસ્તારના કોટડા ચકાર પંથકમાં આજે સવારથી  ધોધમાર વરસાદ પડયો છે. સાંજ સુધી ઝરમર  ઝાપટાંએ અમુક વિસ્તારમાં  હાજરી પૂરાવી હતી. આ પંથકના ખેડૂતો સહિત માલધારી મલકાયા છે. અમુક વિસ્તારમાં નદી-નાળાઓ જીવિત થયા છે, તો ગામની પાદરોમાં પાણી ભરાયાં છે. ગધેડા (કોટડા-ચ.)ની નદીમાં  બે વાછરડા તણાતાં કૈલાસનગરનાં બાળકો અને આચાર્ય હરિલાલભાઇ ભાનુશાલીની મદદથી તેમને બચાવી લેવાયા હતા. - માંડવી ઉપર વરુણદેવની અમીદૃષ્ટિ : માંડવીથી પ્રતિનિધિ દેવેન્દ્ર વ્યાસે જણાવ્યું હતું કેગત સપ્તાહના અંતે અડધો-પોણો ઇંચ વરસીને વિરમી ગયેલા  જળદેવતાએ આષાઢી બીજનું શુકન સાચવવા આજે  બપોરે આ બંદરીય શહેર ઉપર ન્યાલ થઇ જળાધારી કરતાં લગભગ પોણા બે ઇંચ (41 મિ.મી.)નું હેત વરસાવ્યું હતું. આ સાથે જામેલા માહોલ વચ્ચે એકંદરે આંકડો 168 મિ.મી. ઉપર અંકિત થયો હતો. પંથકનાં ગામડાંઓમાં  મેઘાગમનના  ઇંતેઝારમાં અડધો-પોણો  કે એકાદ ઇંચનો  આસરો જાણવા મળ્યો  હતો. આ દરમ્યાન ઓક્સવૂડ પાર્ક પાસે રસ્તો જળબંબોળ થતાં સોસાયટીઓમાંથી વાયા મસ્કા આવવા રહેવાસીઓ મજબૂર બન્યા હોવાની વ્યથા સાંભળવા મળી. બીજી બાજુ કાંઠાવાળા વિસ્તારમાં લાકડા બજાર છેડે પુલના નૂતનીકરણની કામગીરી થકી  વહેણ અવરોધાતાં પૂર્વ કચ્છની એક કારને બચાવી લેવાઇ હતી. એ સ્થળે કમર લગી પાણી ભરાયાં હતાં. - ગોધરાથી ડુમરા વચ્ચે આડંગ : ગોધરાથી ડુમરા લગીનો પ્રવાસ ખેડીને આવેલા ગોધરાના પૂર્વ સરપંચ હાજી સલીમ ચાકીએ કહ્યું હતું તકે, આડંગ બહુ છે. પ્રવાસના રસ્તે ક્યાંક પટ કોરો તો ક્યાંક ઝાપટાં અનુભવાયાં હતાં. ગોધરામાં ધરતી ભીંજાઇ છે. ગુંદિયાળીથી ભગવાનજી બોડાએ  આપેલી જાણકારી પ્રમાણે ગામમાંથી પાણી વહી નીકળ્યાં છે, પરંતુ સીમ વિસ્તારમાં  આંખો તાણીને રાહ જોવાય છે. ત્રગડી, ભાડિયા બાજુ પણ હાલ તુરંત અડધા-પોણા ઇંચનો આસરો કહેવાયો છે. ડોણ વિસ્તારમાંથી ખીમજીભાઇ કેરાઇએ કહ્યું હતું કે, ડોણ, ભાડઇ, રાજડામાં મેઘરાજા દસ્તક દે ત્યારે ઉલ્લેખ થાય. અત્યાર લગી છાંટણાં થયાં કહેવાય. - નીચાણવાળા વિસ્તારો ઘૂંટણભેર વહ્યા : શહેર વિસ્તારમાં કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટની જાણકારી મુજબ આજનો વરસાદી આંક સાંજે સવા ચાર વાગ્યે 41 મિ.મી. નોંધાતાં એકંદર વરસાદ 168 મિ.મી. પહોંચ્યો છે. ભારે વહેણને કારણે નીચાણવાળા વિસ્તારો વહેવા લાગતાં આઝાદ ચોક, ખૂની ચકલો, ભીડ વિસ્તાર, લાકડા બજાર વગેરે વરસાદી વહેણ માર્ગ ઘૂંટણભેર વહ્યા હતા. કચ્છી નવાં વર્ષે લારી-ગલ્લાંના ધંધાર્થીઓના  વકરામાં માઠી લખાઇ. લાકડા બજાર, કુતાવાડી વિસ્તારમાંથી વહેનારા વહેણને  પુલના નૂતનીકરણ થકી અવરોધ નડતાં કમરભેર પાણીએ હાલાકી સર્જી હતી. બહારગામથી આવેલી કાર બોનેટ લગી ડૂબીને  ફસાતાં સેવાભાવી યુવાનો વહારે આવ્યા અને વાહનને સલામતી બક્ષી પાણીનો અવરોધ થોડે અંશે હડસેલવાથી ધીમે ધીમે વરસાદી વહેણ પોર્ટ કોલોની પાસેથી નદીમાં જતાં હાશકારો લેવાયો હતો. આ દરમ્યાન પાસેના નીચાણવાળા રહેઠાણો, મદરેસા પરિસરમાં  જળ ભરાતાં હાલાકી સર્જાઇ હતી. હજી તો `વરસારો' બાકી છે. શું થશે એના ચિંતાત્મક સૂરો અને ડર સામે આવ્યા હતા. - ઢળતી સાંજે વાદળોની જમાવટ : આ ઉપરાંત માંડવી-મસ્કા રોડ ઉપર લિન્ક રોડ પર ઓક્સવૂડ પાર્ક ગટર કામગીરી માંડ મહાપ્રયાસે  આરંભાઇ ત્યાં આ દોઢ-બે ઇંચ જેટલી શાંત વર્ષા થકી વરસાદી જળે જળબંબોળ કરી નાખતાં  રહેવાસીઓ માંડવી શહેર તરફ આવવાના ઇલાજે મસ્કા તરફ (વાયા) થઇને પહોંચવા મજબૂર થયા હતા. સંબંધિત તંત્રોએ  જનહિતાર્થે પ્રાકૃતિક વહેણને રુંધાતાં, અવરોધાતાં બચાવી લેવાની માંગ બળાપા સાથે ઊઠી છે. - ગઢશીશામાં મેઘરાજાનું આગમન : ગઢશીશા ઉપરાંત વિસ્તારના રત્નાપર-મઉં સહિતનાં ગામોમાં પણ સારા વરસાદના સમાચાર પ્રાપ્ત થયા હતા, તો ગઢશીશાના મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં અને જળાશયોમાં પણ નવાં નીરની આવ ચાલુ થઈ ગઈ છે. ખેતીવાડીમાં પણ અમુક વિસ્તારોમાં વાવણીકાર્ય પૂરું થતાં આ વરસાદ ફાયદાકારક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. - મુંદરા તાલુકામાં ઝાપટાં : તાલુકાના કેટલાક વિસ્તારમાં ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે ઝાપટાં નોંધાયાં હતાં. જો કે, ફરી પાછો ઉકળાટ શરૂ થઈ ગયો હતો અને વરસાદી વાતાવરણ વચ્ચે ગમે ત્યારે વરસાદની આશા સેવાઈ રહી છે મુંદરા શહેરમાં ગુરુવારે મોડી રાત્રે ઝાપટું નોંધાયો હતો, પરંતુ આજે દિવસભર વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર ઉકળાટ રહ્યો હતો.  સવારે બેરાજા, કારાઘોઘા, બરાયા વિસ્તારમાં ઝાપટું નોંધાયાના અહેવાલ મળ્યા હતા. કારાઘોઘા ડેમ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. દરમ્યાન વાંકીથી શામજીભાઈ ડુડિયાએ જણાવ્યું કે, ભારે બફારા બાદ બપોરના વાંકી, પત્રી તથા ટપ્પર વિસ્તારમાં ભારે ઝાપટાંનાં કારણે બજારમાં પાણી વહી નીકળ્યાં હતાં. મેઘરાજાએ આષાઢી બીજના શુકન સાચવ્યા હતા. અંદાજે પોણો ઇંચ જેટલા વરસાદના વાવડ છે. - નખત્રાણા પંથકમાં  મેઘરાજાએ  સર્વત્ર હેત વરસાવ્યું : ધરતીના ધણી મેઘરાજાએ આ વર્ષે જેઠ માસમાં આગોતરાં પછી અષાઢ માસના આરંભે  શુકનવંતી આષાઢી બીજ તથા આર્દ્રા નક્ષત્રમાં નખત્રાણા તાલુકા પંથકમાં આષાઢી બીજની પૂર્વ મધ્ય રાત્રિએ મોટાભાગનાં ગામોમાં  દોઢથી સવા ત્રણ ઇંચ વરસાદ વરસતાં  કચ્છી નવું વર્ષ આષાઢી બીજની ઉજવણી કરતાં  વિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી હતી. આજે બપોર પછી નખત્રાણા રામેશ્વર વિસ્તારમાં  અડધો ઇંચ તો ક્યાંક ઝાપટું વરસતાં મેઘરાજાએ  શુકન સાચવ્યા હતા. ખોંભડીથી કચ્છમિત્રના જગદીશ કોઠારીના જણાવ્યા મુજબ ગુરુવારની મધ્યરાત્રિએ અઢી ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં ગામના મંગલેશ્વર અને દેવારા તળાવ ઓગની ગયાં છે. આ વરસાદ ટોડિયા, કાદિયા, મથલ, સર્વત્ર વિસ્તારમાં થતાં ખુશીની લહેર ફરી વળી છે. રસલિયા, નેત્રા, ખાનાય વિ. ચોમેર સચરાચર બેથી અઢી ઇંચ મેઘરાજાની મહેરથી ખેડૂત- માલધારીઓમાં આનંદ વર્તાયાનું અગ્રણી પ્રદીપભાઇ સચદેએ જણાવ્યું હતું. ધીણોધર તથા છાવરના ગામોમાં જાલુ-થાન, ગોધિયાર, ખારડિયા, ચંદ્રનગર, ભીમસર, હીરાપર, દેવીસર, દેવસર, લાખિયારવીરા, અરલ નાની/મોટી, તાલુકા મથકથી દક્ષિણ પટ્ટીનાં ગામો - નાના નખત્રાણા, વ્યાર, ગંગોણ, રામપર, માધાપર, મંજલ, મંગવાણા સહિતનાં ગામોમાં  દોઢથી બે ઇંચ વરસેલા વરસાદથી ખેતર-વાડીના ક્યારા તરબોળ થયા હતા. દેવીસરનું ધોળો તળાવ ઓગની ગયું હોવાનું વેપારી અશ્વિન આઇયાએ  કચ્છમિત્રને  ફોનથી જણાવ્યું હતું. માધાપર (મંજલ)થી પાટીદાર અગ્રણી ધનજીભાઇના જણાવ્યા મુજબ સમગ્ર પંથકમાં દોઢથી બે ઇંચ આર્દ્રા નક્ષત્રના વરસાદે  ન્યાલ કર્યા છે. સુખપર, ભારાપર, નાની વિરાણી આ ગામોમાં ગત મધ્યરાત્રિના વરસેલા ધોધમાર વરસાદથી નદી-નાળાં છલકાયા હતા. આથી પાટીદાર ગામોમાં આષાઢી બીજની ઉજવણીના કાર્યક્રમો રદ કરવા પડતાં રંગમાં ભંગ પડયો હતો, તેવું ચંદુલાલ પાંચાણીએ જણાવ્યું હતું. ધીણોધર ડુંગર ઉપર યાત્રીઓને પીવાનાં પાણીના ત્રણેય ટાંકા ઓગની ગયા હોવાનું મહંત યોગી મહેશનાથજીએ જણાવ્યું હતું. મથલ ડેમમાં વધુ ત્રણ ફૂટ પાણી આવ્યાના ઓપરેટર દિનેશ મારવાડાએ  વાવડ આપ્યા હતા.  ઉગેડી, દેશલપર (ગું), મુરૂ, ઢોરો, લુડબાયમાં દોઢથી બે ઇંચ વરસેલા વરસાદથી  ખેતી, પશુપાલન માટે આશીર્વાદરૂપ થયો છે, તેવું અગ્રણી હિતેશભાઇ બારૂએ જણાવ્યું હતું. રસલિયાના અહેવાલ પ્રમાણે ગામનું તળાવ ઓગની ગયું છે. - વિથોણ પંથકમાં મેઘમહેરથી આનંદ : વિથોણ પંથકમાં બે ઇંચ વરસાદથી પંથક ન્યાલ થતાં જગતનો તાત પ્રફુલિત બન્યો છે. મેઘમહેરથી ચોમેર આનંદ છવાયો છે. તા. 27ના મધ્યરાત્રે એક વાગ્યે વીજળીના ચમકારા અને ગજણના ગગનભેદી કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું અને જોતજોતામાં બે ઇંચ જેટલું ઉપયોગી પાણી પડયું હતું. વરસાદનાં કારણે વિથોણના સંત સરોવરમાં નવાં નીર આવ્યાં છે અને વરસાદથી વિથોણ ખાતે ઊજવાતી આષાઢી બીજના ઉત્સવ અને ઉમંગમાં વધારો થયો છે, જે વાડીઓમાં કપાસ અને મગફળીના વાવેતર થઈ ગયા છે તે ફસલ માટે અત્યારનો વરસાદ સોનાંમાં સુગંધ જેવો સાબિત થયો છે. ઉપરા ઉપરી બે રાઉન્ડ વરસાદ પછી પંથકમાં ખેતીનું ચિત્ર બદલાઇ ગયું છે. દરમ્યાન સાંજે પડેલા બે ઇંચ વધુ વરસાદથી વિથોણ પંથકના  વાડી, ખેતરો, તળાવ તરબોળ બન્યા હતા. ગામની નવી વસાહતોમાં પાણી ઘૂસ્યાં હતાં. વિથોણનો ફોરલેન વોકળો બનીને વહી નીકળ્યો. પંથકની ધરોહર સમી ભોયડ નદી પણ જોશભેર વહી નીકળી હતી. પંથકના પલિવાડ, આણંદપર, મોરગર, સાંયરા યક્ષ, દેવપર, લાખાડી, ભડલી, મોરઝર, ચાવડકા, રાણારા, અધોછની, આણંદસર વિગેરે વિસ્તારોમાં વરસાદ થયાના સમાચાર ખેડૂતો દ્વારા સાંપડયા છે. પંથકના ખાલી પડેલા તળાવોમાં નવાં નીરની આવક થઇ છે. અત્યારના વરસાદથી ખેતીપેદાશોને મોટો લાભ થયો હોવાનું જયંતીભાઇ લીંબાણીએ  જણાવ્યું છે અને બોર રિચાર્જને સફળતા મળી છે. - વિરાણી પંથકમાં આગોતરી ઉજવણી : મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે, આષાઢી બીજની આગોતરી ઉજવણીરૂપે ગતરાત્રિના 12 વાગ્યાની સાથે મેઘરાજાએ નખત્રાણા તાલુકાના આષાઢી બીજની ઉજવણીમાં બાધ ન થાય તેમ મેઘ-મલ્હાર ગાયો હતો. રાત્રિના સાડા અગિયારથી સાડા બાર દરમ્યાન મોટી વિરાણી, વાંઢ, રામેશ્વર, સુખપર, દેવસર, પખડા, ચતરપોયવાય વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા, વોકળામાં જોશભેર પાણી વહ્યાં હતાં. ત્રણ ઇંચ વરસાદ પડયાનું માપક સાધનના આધારે અદ્રેમાન સમેજાએ કહ્યું હતું. ભારાપર : ભારાપર, ગડાપોઠા, રામસરોવર, જતાવીરા વિસ્તારમાં દોઢેક ઇંચના વાવડ લક્ષ્મણદાન ગઢવીએ આપ્યા હતા. મંગવાણામાં પોણો ઇંચ : નખત્રાણા તા. એટીવીટીના સભ્ય ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીએ મંગવાણા, સુખપર, સુખસાણ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદના વાવડ આપ્યા હતા. જિયાપરના માજી સરપંચ વિજયાબેન ગોસ્વામીએ રાત્રે આવેલ મેઘસવારી 20 એમ.એમ. વરસાદ વરસાવી ગઇ હોવાનું જણાવ્યું હતું. આમારાના માજી ઉપસરપંચ વેરશી આહીરે એક ઇંચ વરસાદ આમારા, કરોલપીર, ઐયર, રતડિયામાં પડયો હોવાનું કહ્યું હતું. મથલના સરપંચ હુશેનભાઇ ખલીફાએ મથલ, ખાંભલા, ટોડિયા ફાટક, દેશલપર ફાટક વિસ્તારમાં સરેરાશ દોઢ ઇંચ પાલર પાણી પડયાની વાત કરી હતી. સાંગનારા : સાંગનારા, પતરી વિસ્તાર, બેરૂ, મોસુણા, જાડાઇ વિસ્તારમાં બે ઇંચ વરસાદના સમાચાર અરવિંદ ઠક્કરે આપ્યા હતા. દેશલપુર ગુંતલી : મુરૂ, જિંજાય, ધામાય વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદનું પાણી પડયાનું દેશલપુર ગું.ના સરપંચ નારાણભાઇએ કહ્યું હતું. ઉગેડીના સરપંચ કરણભાઇ રબારીએ ઉગેડી, મોરાય વિસ્તારમાં અડધા ઇંચ પાલર પાણી આભમાંથી વરસ્યાનું કહ્યું હતું. નાની બન્નીથી હમજા જતે કહ્યું હતું કે, અસાડી રાત જો મીં આયો હો... તલ, લૈયારી, છારી, ફુલાય, મોતીચુર વિસ્તારનાં ગામોમાં દોઢ ઇંચ વરસાદ પડતાં પાણી વહ્યાં હતાં. ગીચડાથી તલ નદી વહી હતી. બે મહિના જેટલાં પાણી ભરાયાં હતાં. - નેત્રાનું તળાવ ઓગન્યું : ગત રાત્રિના આવેલા બે ઇંચ વરસાદથી નેત્રાનું તળાવ પ્રથમ વરસાદે ઓગની ગયું હતું. નેત્રા, રામપર, સરવા, લક્ષ્મીપર, ખોંભડી, રસલિયા વિસ્તારમાં બે ઇંચ જેટલા વરસાદના વાવડ નેત્રા એસએમસીના અધ્યક્ષ વિજયભાઇ સીજુએ આપ્યા હતા. નેત્રાની શેરીઓમાં પાણી ભરાયાં હતાં, તો વીજળી ગુલની પરંપરા જળવાઇ હતી. - ગરડા પંથકમાં ઝાપટાં સ્વરૂપે શુકન સચાવ્યું : ગરડા પંથક વિસ્તારમાં આષાઢી બીજની મધ્ય રાત્રિએ લગભગ બાર વાગ્યા પછી પધરવાડી, ઉકીર, વાગોઠ, ફુલાય, વાઘાપદ્ધર, ભોઆ, સારંગવાડા, ચરોપડી મોટી-નાની, નવાવાસ, વાલાવારીવાંઢ, ભગોડીવાંઢ, રોહારો, હોથિયાય, ગોલાય, અલ્ટ્રાટેક કંપની, એબીજી કંપની, સુઝલોન કંપની, ખારઇ જેવા અન્ય ગામોમાં ઝાપટાં સ્વરૂપે ક્યાંક અમીછાંટણાંરૂપે મેઘરાજાએ આષાઢી બીજનું શુકન સાચવ્યું હતું. માલધારીઓ, ખેડૂતો, પશુપાલકોમાં એક ખુશીની લહેર જોવા મળી હતી. તો આજે સાંજે ફરી શરૂ થયેલી હેલીથી છસરા, ચરોપડી નાની-મોટી વાવણીલાયક વરસાદ થયો હોવાનું પ્રતિનિધિ કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જોકે, આટલા વરસાદમાં જ વીજળી ગુલ થઈ જતાં રહેવાસીઓ અકળાયા હતા. - કોઠારા પંથકમાં અડધાથી પોણો ઇંચ : અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં ગતરાત્રિએ અડધોથી પોણો ઇંચ વરસાદ વરસ્યો હોવાનું પ્રતિનિધિ મનોજ સોનીએ જણાવ્યું હતું, તો તેરામાં ગત રાત્રે દોઢ ઇંચ વરસાદમાં તળાવમાં પાણીની આવ ચાલુ થઇ હતો, તો લાખાણિયા પાસે આવેલી પાપડી આવી જતાં નેત્રાનો રસ્તો કલાકો સુધી બંધ થયો હોવાનું ગિરીશ શાહે જણાવ્યું હતું, તો ગઢવાડા, ધનાવાડા, આરિખાણા, બેરા, આધાપર, કડુલી સહિતનાં ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. - નલિયામાં એક ઇંચ : શુક્રવારે રાત્રિના અબડાસા તાલુકામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તાલુકાના મુખ્ય મથક નલિયામાં રાત્રિના એક વાગ્યે વરસાદ પવન અને ગાજવીજ સાથે શરૂ થયો હતો. જો કે, એકાદ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ થતાં જ બારા ગામની પાપડી પરથી પાણી ફરી વળ્યાં હતાં. ગત વર્ષ લાખણિયા નદી પરની પાપડી ધોવાઈ જવાના કારણે ઉસ્તિયા, લાખણિયા, કુવાપધર, બાંડિયા, નાગિયા સહિત 15 ગામનો માર્ગ બંધ થયો હતો. ફરી આ વર્ષ ચોમાસામાં વધુ વરસાદ પડશે તો માર્ગ બંધ થાય તે પહેલાં જ પાપડીમાં કપચી નાખીને ઉપર ડામર પાથરીને રિપેર કરવામાં આવે તો ચોમાસાં દરમિયાન માર્ગ  ખુલ્લો રહે અન્યથા ગત વર્ષની જેમ નખત્રાણા તાલુકાના નેત્રા અને નલિયાને જોડતો માર્ગ બંધ થશે. 

Panchang

dd