પૂણે, તા. 22: લોકસભામાં વિપક્ષના નેતા અને
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુણેમાં `છાત્રોં કી ગુંજ' કાર્યક્રમમાં મહિલાઓની સ્વતંત્રતા અને સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા મનુસ્મૃતિનો
હવાલો આપ્યો હતો અને કહ્યું હતું કે, દેશની સૌથી મોટી તાકાત મહિલાઓ
સ્વતંત્ર બનીને આત્મવિશ્વાસથી આગળ વધે તેમાં છે. મહિલાઓ સ્વભાવથી પુરુષોની સરખામણીમાં
વધુ સંવેદનશીલ, સૌમ્ય, દયાળુ અને દૂરંદેશી
હોય છે. આ જ કારણથી ભારતની મહિલાઓ દેશની સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે પણ હું કોઈ પુરુષ
સાથે વાત કરું છું, ત્યારે મહિલાઓને ત્રણ કેટેગરીમાં રાખવામાં
આવે છે. તેમને પુત્રી, પત્ની અથવા માતા તરીકે જોવામાં આવે છે.
પત્ની, પુત્રી અથવા માતા તરીકે જોવામાં કંઈ ખોટું નથી. પરંતુ
આ તમારી એકમાત્ર ઓળખ ન હોઈ શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મનુસ્મૃતિ
કહે છે- બાળપણમાં મહિલા પોતાના પિતાની હોય છે. યુવાનીમાં તે પોતાના પતિની હોય છે. પતિના
મૃત્યુ બાદ તે પોતાના પુત્રોની હોય છે. મહિલાએ ક્યારેય સ્વતંત્ર ન હોવું તે મનુસ્મૃતિનું
સીધું અવતરણ છે અને આ શબ્દો શરમજનક છે, કારણ કે આવા શબ્દો ક્યારેય
કહેવા જ ન જોઈએ.