નવી દિલ્હી, તા. 22 : ભારતના આંતરરાષ્ટ્રીય
એરપોર્ટ્સ પરથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટા રાહતના
સમાચાર આવ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના બોર્ડિંગ
પાસ પર ફિઝિકલ સિક્કો મરાવવાની જરૂર રહેશે નહીં. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો
ઓફ ઇમિગ્રેશને નિર્ણય લીધો છે કે આગામી પહેલી સપ્ટેમ્બર 2026થી દેશના તમામ આંતરરાષ્ટ્રીય
હવાઈ મથકો પર બોર્ડિંગ પાસની ફિઝિકલ સ્ટેમ્પિંગ પ્રક્રિયા કાયમ માટે બંધ કરવામાં આવશે.
હવે મુસાફરો પોતાના સ્માર્ટફોન પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ બતાવીને સરળતાથી ઇમિગ્રેશન
ક્લિયરન્સ મેળવી શકશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જે મુસાફરો હજુ પણ પ્રિન્ટેડ
બોર્ડિંગ પાસ રાખવા માગતા હોય તેઓ રાખી શકે છે. ફેરફાર માત્ર એટલો જ છે કે ઇમિગ્રેશન
અધિકારીઓ હવે તે કાગળ પર કોઈ સિક્કો લગાવશે નહીં. ભારતીય પાસપોર્ટ ધરાવતા પ્રવાસીઓ
માટે દેશમાંથી બહાર નીકળતી વખતે અને પરત પ્રવેશતી વખતે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ
લગાવવાની પ્રક્રિયા પણ નાબૂદ કરવાની યોજના છે.