નવી દિલ્હી, તા. 14 : હોર્મુઝ જળમાર્ગમાં
જહાજ ઉપર થયેલા ભીષણ મિસાઇલ હુમલામાં એક ભારતીય નાવિકના મૃત્યુ બાદ ભારતે કડક વલણ અપનાવ્યું
છે અને આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને ભારતે નવી દિલ્હીમાં ઈરાનના વરિષ્ઠ રાજદ્વારીઓને
બોલાવીને વાંધો અને વિરોધ નોંધાવ્યા હતા. ઇરાને હોર્મુઝના દક્ષિણ કિનારે યુએઇના ધ્વજ
સાથેના જહાજને નિશાન બનાવ્યા હતા. મોમ્બાસા અને બાદિયા નામના જહાજ પર બોમ્બમારો થયો
હતો જેમાં એક ભારતીયનું મોત ઉપરાંત આઠ જણ ઘાલય થયા હતા જેમાં છ ભારતીય સામેલ છે. હુમલા
બાદ જહાજમાં આગ ફાટી નીકળી હતી. આ હુમલાને લીધે યુએઇ પણ નારાજ થયું છે. વિદેશ મંત્રાલયે
આ હુમલા અંગે ઈરાન સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ
થયું છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. ઈરાનના વરિષ્ઠ રાજદ્વારીઓને બોલાવીને ભારતે
આ હુમલાની ઘટના સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના સંરક્ષણ
મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, તેમના
બે ટેન્કર જહાજો ઉપર ઓમાનના જળવિસ્તારમાં હોર્મુઝના દક્ષિણ માર્ગ પરથી પસાર થઈ રહ્યાં
હતાં ત્યારે ઈરાની ક્રૂઝ મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ બંને વેપારી
જહાજોમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું.
જો કે, ઇમરજન્સી ટીમોએ સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઉપરાંત
હુમલામાં અન્ય આઠ ક્રૂ સભ્યો ઘાયલ થયા, જેમાંથી ચારની હાલત ગંભીર
હોવાનું જણાવાયું છે. ઘાયલોમાં છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે
અને તેમની સારવાર ચાલી રહી છે.