બેંગલોર, તા. 28 : કર્ણાટકમાં રાજકીય અનિશ્ચિતતાના
દોરનો આખરે અંત આવ્યો છે. સિદ્ધારમૈયાએ ગુરુવારે બપોરે બેંગ્લોરમાં પત્રકાર પરિષદ યોજીને
રાજીનામું આપી દીધું હતું. સિદ્ધારમૈયાનાં આ એલાન સાથે ત્રણ વર્ષની ખેંચતાણ ત્રણ દિવસમાં
ખતમ થઈ ગઈ હતી. ડી કે શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. મેં પહેલાં જ કહ્યું
હતું કે, હાઈકમાન કહેશે ત્યારે પદ છોડી દઈશ. કાલે ટોચના
નેતૃત્વએ કહ્યું અને આજે રાજીનામું આપું છું તેવું સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું. સિદ્ધારમૈયાએ
કહ્યું હતું કે, ટોચના નેતૃત્વએ મને રાજ્યસભા જવા કહ્યું,
પરંતું મેં ના પાડી છે. મને રાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ રસ નથી,
સક્રિય રાજનીતિમાં જરૂર રહીશ. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પારિવારિક કારણે
બેંગ્લોરથી બહાર છે એટલે તેમના સચિવને રાજીનામું સોંપાયું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી
ડી. કે શિવકુમારનું મુખ્યમંત્રી બનવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. આવતીકાલે શુક્રવારે
વિધાનસભા પક્ષની બેઠકમાં તેનું એલાન થઈ શકે છે. જાણવા મળે છે કે, પક્ષની બેઠકમાં સિદ્ધારમૈયાએ વરૂણા બેઠક પરથી ધારાસભ્યરૂપે સક્રિય રહીને બાકીનો
બે વર્ષનો કાર્યકાળ પૂરો કરીશ. વરૂણા બેઠક 2008થી તેમના પરિવારનો ગઢ
રહી છે. પત્રકાર પરિષદમાં રાજીનામાંના વિવિધત એલાનથી પહેલાં સિદ્ધારમૈયાએ પોતાના નિવાસસ્થાને
મંત્રીઓ સાથે બેઠક કરી અને આ ફેંસલા અંગે જાણકારી આપી હતી. બેઠક દરમ્યાન ડી.કે. શિવકુમારે
સિદ્ધારમૈયાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. બેય નેતાએ એકમેકને આલિંગન આપ્યું હતું.
નવેમ્બર 2025માં સિદ્ધારમૈયા સરકારના અઢી
વર્ષ પૂરાં થયાં પછી ફરીવાર રોટેશન ફોર્મ્યુલા હેઠળ શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની
માંગ ઊઠવા લાગી હતી. દિલ્હીમાં ટોચના નેતૃત્વ
સાથે બેઠકોના અનેક દોર થયા. સિદ્ધારમૈયા સરકાર વાલ્મીકિ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડ
જેવા મામલાઓમાં ઘેરાઈ ચૂકી હતી. કોંગ્રેસ નેતાગીરીનું માનવું છે કે, નેતૃત્વ બદલાવાથી મંત્રીઓ વિરુદ્ધ પેદા થતી
શાસન વિરોધી લહેરને ખતમ કરી શકાય છે.