નવી દિલ્હી, તા. 6 : વિપક્ષને
મોટો ઝટકો આપતાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને સોમવારે મુખ્ય ચૂંટણી
કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવા માટે અપાયેલી નોટિસ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો
હતો. સાથોસાથ લોકસભા સ્પીકર એમ બિરલાએ પણ 63 રાજ્યસભા સાંસદોના મહાભિયોગ
પ્રસ્તાવને ફગાવી દીધો હતો. લોકસભાના 130 અને
રાજ્યસભાના 63 મળીને કુલ 193 સાંસદે પ્રસ્તાવ પર હસ્તાક્ષર
કર્યા હતા. આ દેશની આઝાદી બાદ કોઇ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સંસદમાં આવો પહેલો
પ્રસ્તાવ હતો. પ્રસ્તાવમાં વિપક્ષી સાંસદોએ જ્ઞાનેશકુમાર પર પક્ષપાતભર્યાં આચરણ, મતદારયાદી સુધારણા
(સર)માં અનિયમિતતા સહિત આરોપો મૂકયા હતા. સભાપતિએ નોટિસ અને તેનાં સાથે જોડાયેલાં
તમામ પાસાંની વિસ્તૃત સમીક્ષા કરી સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી. આ પ્રસ્તાવને
આગળ વધારવાનો કોઇ આધાર નથી, તેવું સભાપતિએ કહેતાં
ચૂંટણીપંચના વડા સામે મહાભિયોગની પ્રક્રિયા રોકાઇ ગઇ હતી. વિપક્ષે જ્ઞાનેશકુમાર પર
ચૂંટણી છેતરપિંડીની તપાસમાં ઇરાદાપૂર્વક વિઘ્ન સર્જવા, મતદારોને
મતાધિકારથી વંચિત રાખવા સહિતના ગંભીર આરોપો પ્રસ્તાવમાં મૂકયા હતા.