• સોમવાર, 30 જૂન, 2025

શાંતિનો રોટલો ખાવ, નહીં તો મોદીની ગોળી

મુંજાલ સોની દ્વારા ભુજ, તા. 26 : પહેલગામના નરસંહાર બાદ આતંકપરસ્ત પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવીને ભારતે દાખવેલા ઓપરેશન સિંદૂરના જ્વલંત પરાક્રમ બાદ પહેલીવાર સરહદી કચ્છમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં રૂા. પ3,414 કરોડનાં વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં અને પછી તીવ્ર ગરમી છતાં ભરચક એવી જંગી જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આપણે લોકોને જોડતા ટૂરિઝમ પર ધ્યાન આપ્યું છે, પણ પાકિસ્તાન જેવો દેશ ટેરરિઝમ (ત્રાસવાદ)માં માને છે અને આજે દુનિયા માટે મોટો ખતરો બની ગયો છે. કેન્દ્રમાં પહેલીવાર સત્તા સંભાળ્યાની 11મી જયંતીએ વડાપ્રધાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સેના અને સરકાર પોતાના ફાયદા માટે આતંકવાદને ઉત્તેજન આપે છે અને ત્યાંના લોકો, ખાસ કરીને યુવાઓએ આતંકવાદના ખાતમા માટે આગળ આવવું જોઈએ અને શાંતિનો માર્ગ અપનાવવો જોઇએ. બાકી જો ભારતીયોના લોહી વહાવવાની કોશિશ કરી તો મૂકશું નહીં. પાકિસ્તાનીઓ શાંતિનો માર્ગ અપનાવે અને શાંતિની `રોટી' ખાય, નહીંતર મારી ગોળી ખાવી પડશે. અમારી સરકારે તો આતંકવાદને બિલકુલ સાંખી નહીં લેવાની નીતિ અપનાવી છે અને ઓપરેશન સિંદૂરથી એ નીતિ વધુ સ્પષ્ટ બની છે એમ તેમણે ઉમેર્યું હતું. પીએમ બન્યા બાદ નવમીવાર કચ્છ આવેલા મોદીએ કચ્છના સામર્થ્યની સરાહના કરતાં કહ્યું હતું કે, કચ્છ હરિત ઊર્જાનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે અને હવે કચ્છ-ગુજરાત જહાજ નિર્માણના પણ મોટાં કેન્દ્ર બનશે. - કચ્છ હરિત ઊર્જાનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્રઆકરી ગરમીમાં  સવારે વડોદરામાં રોડ-શો બાદ દાહોદમાં જાહેર સભાને સંબોધન બાદ ભુજમાં પહેલાં રોડ-શો છતાં જેમની ઊર્જામાં ઓટ દેખાતી નહોતી એવા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભૂકંપે કચ્છમાં ભારે નુકસાન વેર્યું, પણ કચ્છની ખમીરવંતી પ્રજાએ બતાવી દીધું કે, આશા અને સખત પરિશ્રમથી આપત્તિને અવસરમાં બદલી શકાય છે. ખાવડાના વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કના ઉલ્લેખમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે કચ્છ હરિત ઊર્જાનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. આવનારા સમયમાં તમામ પ્રકારનાં વાહનો ગ્રીન હાઈડ્રોજન ઈંધણથી ચાલશે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન મથક પૈકીનું એક છે. હરિત ઊર્જાનું કેન્દ્ર કચ્છના વિકાસ માટે વધુ મદદરૂપ બનશે. દુનિયાના એનર્જીના નકશામાં કચ્છનું ખાસ સ્થાન અંકિત થયું છે. અમારી સરકારની એવી નેમ છે કે, લોકોને પૂરતી વીજળી પણ મળે અને તેમનું વીજબિલ પણ શૂન્ય થઈ જાય. - 24 વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તમિરજાપર રોડ ખાતે ટાઈમ સ્ક્વેર સામેની જગ્યામાં ઊભા કરાયેલા વિશાળ ડોમમાં પહેલાં ખુલ્લી જીપમાં સમર્થકોનું અભિવાદન ઝીલ્યા બાદ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય વીજળી અને ગૃહ નિર્માણ મંત્રી મનોહરલાલ ઉપરાંત સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં કંડલા ખાતેની ઓઈલ જેટી નંબર 8, લાકડિયામાં 3પ મેગાવોટના સોલાર પી.વી. પ્રોજેક્ટ, માતાના મઢમાં સુવિધાઓ સહિતનાં 12 વિકાસકામનું લોકાર્પણ અને રૂા. 4200 કરોડના ખર્ચે ખાવડામાં નવનિર્મિત રિન્યૂએબલ એનર્જી પાર્કમાંથી વધારાના સાત જીબી પાવર માટે પાવરગ્રિડની ટ્રાન્સમિશન સિસ્ટમ, ભુજથી નખત્રાણાના ચાર લેન હાઈસ્પીડ કોરિડોર સહિતનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને પછી અસલ અંદાજમાં સભાને સંબોધિત કરી હતી.- પાકના એરબેઝ આજે પણ આઇસીયુમાંવડાપ્રધાને જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકના કાળનું મિશન હતું. આપણે સેનાને ખુલ્લી છૂટ આપી દીધી અને સેનાએ અપ્રતીમ શૌર્ય બતાવ્યું  અને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા. તેના એરબેઝ અને સૈન્ય મથકોને તબાહ કરી દીધા. તેના બધા એરબેઝ આજે પણ આઈસીયુમાં છે. ભારતના શૌર્યથી ગભરાયેલા પાકે સફેદ ઝંડા સાથે શરણાગતિ સ્વીકારી.- ભારત ચોથું મોટું અર્થતંત્ર ને પાક દર દર ભટકે છેભારતનું અર્થતંત્ર જાપાનને પાછળ રાખીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ હોવાના ગૌરવવંતા ઘટનાક્રમનો ઉલ્લેખ કરીને મોદીએ પાક પર નિશાન તાક્યું હતું અને જણાવ્યું હતું કે, હું કચ્છની ધરતી પરથી પાકિસ્તાનને પૂછું છું કે, હિન્દુસ્તાન આટલું આગળ નીકળી ગયું અને તમે (આતંકવાદને ઉત્તેજન આપીને) શું મેળવ્યું ? આજે તમે દર દર ભટકો છો. તમારી સેના અને સરકાર જ આતંકવાદને ઉત્તેજન આપે છે અને તેમના માટે એ નાણાં રળવાનું માધ્યમ બની ગયું છે, પણ તમારું ભવિષ્ય નષ્ટ થઈ રહ્યું છે. પાકની જનતા, ખાસ કરીને યુવાઓ આગળ આવે અને આતંકવાદનો ખાતમો બોલાવે. શાંતિની રોટી ખાવ નહીંતર મોદીની ગોળી ખાવી પડશે.- કચ્છ જહાજ નિર્માણનું પણ મોટું મથક બનશે મોદીએ કહ્યું હતું કે, કચ્છ હવે જહાજનિર્માણનું પણ કેન્દ્ર બનશે. શિપબિલ્ડિંગ મોટી સંખ્યામાં રોજગારી આપનારું માધ્યમ છે. અમે મોટા જહાજ તૈયાર કરીને દુનિયામાં જવા માગીએ છીએ. બંદરોના આધુનિકીકરણમાં અમારી સરકારે મોટું રોકાણ કર્યું છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી)એ 1પ કરોડ ટન કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ સર્જ્યો છે. દેશના કુલ સમુદ્રી વેપારમાં એક તૃતીયાંશ યોગદાન કચ્છના બંદરોનું હોય છે. માંડવી જહાજો માટે જાણીતું હતું અને આજે એ શક્તિ માંડવીમાં જોવા મળે છે. - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇઆ અવસરે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની સેનાને અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેઓ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ છે. નરેન્દ્રભાઈ પાણી અને વીજળીને પાયામાં રાખીને વિકાસનું નવતર વિઝન આપ્યું છે. વિકાસ માટેની આ બે મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતાં તેમણે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની જે પરંપરા વિકસાવી છે, તેમાં તેમણે ખાસ કરીને ગ્રીન ગ્રોથ-રિન્યૂએબલ એનર્જીને પ્રાથમિકતા આપી છે. એક સમય હતો જ્યારે લોકો વાળુ કરવા ટાણે વીજળી મળે એવી માગણી કરતા હતા, પરંતુ આજે `જ્યોતિગ્રામ' યોજનાથી ગામેગામ 24 કલાક થ્રી ફેઈઝ વીજળી પહોંચી છે. જ્યારે દુનિયામાં સોલાર એનર્જી, ક્લાયમેટ ચેન્જની માત્ર વાતો થતી ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતે ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ચારણકામાં એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક કાર્યરત કરી દીધો હતો. રિન્યૂએબલ એનર્જીને વેગ આપવા આપણે સોલાર પોલિસી, સોલાર વિન્ડ હાઇબ્રીડ પોલિસી અને ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલિસી-2023 પણ અપનાવી છે એમ કહેતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, રિન્યૂએબલ એનર્જીના સ્ત્રોતોના ઉપયોગને આ નીતિથી નવી ગતિ મળી છે. ખાવડામાં 37.35 ગિગાવોટની ક્ષમતા સાથેનો સૌથી મોટો હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે. કેન્દ્રીય વીજના મંત્રી મનોહરલાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે દેશના દરેક નાગરિકોમાં ઓપરેશન સિંદૂરની સફળતાનો અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દેશમાં ગ્રીન ઊર્જાનાં ક્ષેત્રમાં કલ્પનાથી વધુ ઉત્તમ માળખાંકીય સુવિધાઓ અને પ્રકલ્પોનું નિર્માણ થયું છે. માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આજે સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઇ દેસાઈ, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, ધારાસભ્યો ભુજના કેશુભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનાસિંહ જાડેજા, રાપરના વીરેન્દ્રાસિંહ જાડેજા, ગાંધીધામના માલતીબેન મહેશ્વરી, માંડવીના અનિરુદ્ધભાઈ દવે, અંજારના ત્રિકમભાઈ છાંગાએ મંચ પર સ્થાન લીધું હતું. વિધાનસભાના પૂર્વ સ્પીકર નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મંત્રી ધવલ આચાર્ય, રવિ ત્રવાડી, મહિદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ પંકજ જોશી, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એમ.ડી. જયપ્રકાશ શિવહરે, રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, ડીપીટીના ચેરમેન સુશીલકુમાર સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેકટર ડી.પી. ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd