ભુજ, તા. 24 : નખત્રાણાના કોટડા (જ.) ખાતે
ભંગારવાડામાં રવિવારે સાંજે થયેલા પ્રચંડ ધડાકા થકી બે સગા ભાઈ અને તેમના બે સંતાનો
મોતના મુખમાં ધકેલાયા હતા. આ બનાવના પગલે તકેદારીના ભાગરૂપે આ ભંગારવાડો આજે પોલીસ
કોર્ડન કરી લીધો છે. આ ગંભીર બનાવના પગલે ગઈકાલે જ રાજકોટની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની
ટીમ તથા બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવોર્ડ અદ્યતન સાધનો સાથે ઘટના સ્થળે આવી પૃથ્થકરણ
અર્થે જરૂરી નમુના લીધા હતા. હજુ તે અંગેના અહેવાલ આવવાનો બાકી જ છે. શરૂમાં પ્રાથમિક
રીતે આ ધડકો છોટા હાથીની ઈંધણ ટાંકી ફાટવાના લીધે લાગતો હતો તે હવે આ પ્રચંડ ધડાકો
મોર્ટાર સેલનો હોવાની શક્યતાના પગલે છાનબીન શરૂ થઈ છે. રવિવારે સાંજે ચાર-સાડાચારના
અરસામાં આ ધડાકો થયો ત્યારે તેના અવાજ ઘટના સ્થળથી પાંચ-છ કિ.મી. દુર નખત્રાણા સુધી
સભળાવ્યો હતો. એક સીસી ટીવીના ફુટેઝમાં પણ વિસ્ફોટ પ્રચંડ હોવાનું દેખાયું છે. જે ફુટેઝ
સોશ્યલ મીડિયામાં પણ વહેતા થયા હતા. આવા કારણો અને નિષ્ણાતોના અભિપ્રાયના પગલે આ વિસ્ફોટ
મોર્ટાર સેલનો હોવાની સંભાવનાને ધ્યાને પોલીસે તે દિશામાં છાનબીન શરૂ કરી છે. બન્ને
ભાઈઓ જે ભંગાર છોટા હાથીમાંથી ખાલી કરી રહ્યા હતા તે ભંગાર ક્યાંથી આવ્યાની દિશામાં
તપાસ કરાતા આ ભંગાર સરહદી વિસ્તારમાંથી આવ્યાનું પણ સપાટી પર આવી રહ્યું છે, પરંતુ પોલીસ હજુ સતાવાર રીતે કઈ વિગતો આપી નથી.
બીજી તરફજે સ્થળે રવિવારે વિસ્ફોટ થયો હતો તે ભંગાર વાડાને સાવચેતીના ભાગરૂપે પોલીસે
કોર્ડન કરી લીધો છે. બે-ચાર પોલીસ કર્મચારીને આ ભંગારવાડા આસપાસ ગોઠવી લોકોને આ તરફ
આવવા જણાવી દેવાયું છે.