માતાના મઢ (તા. લખપત), તા. 4 : પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ
આસપાસ શિકાર પ્રવૃત્તિએ માથું ઊંચક્યું છે, જેથી આ યાત્રાધામને બદનામ કરવાનું ષડયંત્ર
રચાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ?છે. આવા શિકારીઓ ઉપર તંત્ર ધાક બેસાડતા પગલાં ભરે તે
જરૂરી બન્યું છે. માતાના મઢની સીમમાં ગત 12 ડિસેમ્બરે પણ ગાયના મોઢામાં વિસ્ફોટ થતાં
તે ગાયનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આવી જ રીતે આજે ચરવા ગયેલી ગાયના મોઢામાં
વિસ્ફોટ થતાં સુરેશભાઇ રબારી નામના પશુપાલકની ગાય ઘાયલ થઇ હતી. માતાના મઢ સહિત લખપત
તાલુકામાં શિકાર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. વન્યજીવોની સાથે દૂધાળા પશુઓ આવા
વિસ્ફોટક પદાર્થ આરોગે છે ત્યારે મોઢામાં તે બોંબ વિસ્ફોટ થાય છે, તેથી તે પશુ બચી
શકતું નથી. આવી ગેરપ્રવૃત્તિથી માલધારીઓ-પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 22 દિવસમાં
ગાયના મોઢામાં વિસ્ફોટ થયો છે તેવી આ બીજી ઘટના છે. આ તાલુકામાં શિકારીઓ બેફામ બન્યા
છે, વન વિભાગ તેમજ પોલીસનો ડર હવે આ શિકારીઓને નથી રહ્યો તેવું લોકો આક્રોશભેર જણાવી
રહ્યા છે. આવા શિકારીઓ પર અંકુશ ક્યારે આવશે ? તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, માતાના મઢની સીમમાં બંદૂકના ભડાકે શિકારમાં માદા મોર મરાઇ હતી, તે શિકારી બંદૂક
સાથે પકડાયા હતા. સસલાના શિકાર તો અહીં રોજ બને છે, આવી ગેરપ્રવૃત્તિને વનતંત્ર તેમજ
પોલીસ વિભાગ વહેલી તકે ડામે તેવી માંગ જીવદયાપ્રેમી કરી રહ્યા છે. આવા વિસ્ફોટક પદાર્થ
બોંબ બનાવનાર સુધી પોલીસના હાથ હજી સુધી કેમ નથી પહોંચ્યા ? માતાના મઢ યાત્રાધામ છે,
લાખો શ્રદ્ધાળુઓના સ્થાનકને આવી ગેરપ્રવૃત્તિથી બદનામ કરવાની સાજીશ તો નથી થઇ?રહી ને
? તે દિશામાં તપાસ જરૂરી છે.