ભુજ, તા. 10 : કચ્છ જિલ્લા પંચાયતની આજની
સામાન્ય સભાના આરંભે વિપક્ષી નેતાએ સવાલ ઊઠાવ્યો હતો કે લેખિત પ્રશ્નોના જવાબ ન મળે તો શેની ચર્ચા કરવા માટે ભેગા મળીએ છીએ, તેમની બેઠક પર તેમના જવાબોની મુકાયેલી ફાઈલ
દર્શાવી અગાઉથી જવાબો અપાય તેવી ફરિયાદ કરી હતી. એક કલાકના પ્રશ્નોત્તરીકાળમાં વિપક્ષના
ચાર પૈકી ત્રણ સભ્યોના 62 સવાલો પૈકી
25 જેટલાના જવાબો અપાયા જેમાં
103 તલાટી સહ મંત્રીની ઘટ, 226 શાળાઓ મેદાન
વિહોણી હોવાની અપાયેલી વિગતોએ નબળી નેતાગીરી પુરવાર કરતી હોય તેવું ચિત્ર ઊભું થયું
હતું.પ્રમુખ પ્રભાબેન હુણના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં અધ્યક્ષસ્થાનેથી ઠરાવોનું
વાંચન નાયબ ડીડીઓ (વિકાસ) આસ્થાબેન ડાંગરે કર્યું હતું. સૌથી વધુ પ્રશ્નો વિપક્ષી નેતા
રાજેશ આયરના રેન્ડમલી નીકળ્યા હતા, જેમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સથી નિમાયેલા ડ્રાઈવરો સંબંધી પ્રશ્નોના જવાબમાં
727 ડ્રાઈવરો-કર્મીઓ હોવાનું,
તેમના ઈપીએફ અને ભથ્થાનું વેરિફિકેશન તાલુકા અને જિલ્લાકક્ષાએથી થતું
હોવાનું સીડીએચઓ ડો. ભંડેરીએ જણાવ્યું હતું. વિપક્ષી નેતાએ અબડાસા, લખપત, માંડવી, અંજારમાં 125 એમએમથી ઓછો વરસાદ પડયો હોવાથી
દુષ્કાળ જાહેર કરાય તેવો ઠરાવ કરવા જણાવતાં ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ અછત શાખા દ્વારા
કામગીરી શરૂ કરાઈ હોવાથી આવશ્યકતા જણાતી ન હોવાનું જણાવ્યું હતું. તલાટી ઘટના પ્રશ્નમાં
103 જૂથ ગ્રા.પં.માં ઘટ હોવાનું
જણાવાયું હતું. પ્રા.આ. કેન્દ્રોમાં ડોક્ટરોની ઘટના જવાબમાં 80માંથી 72 ભરાયેલી હોવાનું જણાવાયું હતું. જિ.પં.ના ઓડિટ અંગેના જવાબમાં
વર્ષ 2020-21ના ઓડિટનો ફાઈનલ રિપોર્ટ આવ્યો
ન હોવાનું અને તે પછીના વર્ષનું બાકી હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત આંગણવાડી, કેટલી ગ્રા.પં.ને જેમ પોર્ટલની સુવિધા અપાઇ,
એમ્બ્યુલન્સના આઉટસોર્સથી ભરાયેલા ડ્રાયઈરો, રમતના
મેદાન વિનાની કેટલી શાળાઓની વિગતો, અપીલમાં પેન્ડિંગ કેસો અંગે
જાણવા માગ્યું હતું. ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તના નીતિ-નિયમો વિશે વિપક્ષી નેતાએ સવાલ
ઉઠાવતાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે, લેખિત સિવાય અલગથી પ્રશ્નો પૂછી શકાય નહીં, નિયમ વિરુદ્ધ
છે. બે વિપક્ષી મહિલા સદસ્યાએ પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં નેહાબેન
રૂપારેલના શિક્ષક ઘટના પ્રશ્નોના જવાબમાં 1907ની ઘટ હોવાનું જણાવાયું હતું. તેમનો અન્ય પ્રશ્ન જિલ્લા અને
તાલુકા પંચાયતોમાં ઉપપ્રમુખ, કારોબારી
ચેરમેન, દંડક તેમજ વિવિધ
સમિતિના અધ્યક્ષોની ચેમ્બરો કયા નિયમ હેઠળ ફાળવાય છે તેના જવાબમાં ડીડીઓએ જણાવ્યું
કે, સંસદ, વિધાનસભામાં આઝાદી બાદથી પરંપરા
રહી છે. આ બાબતે કાંઇ નિયમો ન હોવાનું ઉમેર્યું હતું. નખત્રાણા તાલુકામાં છેલ્લા બે
વર્ષમાં દરેક યોજના હેઠળ ફાળવાયેલી ગ્રાન્ટ અને પૂરા થયેલાં કામોની વિગતો માગી હતી
જે લેખિતમાં અપાઇ હોવાનું જણાવાયું હતું. નેહલબા જાડેજાએ મુંદરા તાલુકાના મોટી ભુજપુર
જિ.પં. બેઠક હેઠળના ગામોમાં શિક્ષક ઘટ ક્યારે પૂરી કરાશે તેના જવાબમાં ઇન્ચાર્જ જિ.પ્રા.
શિક્ષણાધિકારીએ સરકાર દ્વારા 2 હજાર શિક્ષકો ફાળવાશે ત્યારે ભરાશે તેવું જણાવ્યું હતું. મુંદરા
તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાંથી એક્સપાયરી ડેટ દવાઓ મળી તેની માહિતીના જવાબમાં જણાવાયું
કે, કોઇને અપાઇ નથી. માત્ર જથ્થો પડયો હતો. આંગણવાડી,
પશુપાલનની યોજનાઓ તેના લાભાર્થીઓ, કેટલા નાની સિંચાઇના
ડેમોમાંથી વર્ષોથી ખેડૂતોને પાણી નથી આપી શકાતું તેના જવાબ લેખિતમાં અપાયાનું જણાવાયું
હતું. - વાંકી, કેરા અને સામખિયાળી પીએચસી અપગ્રેડ કરવા ઠરાવ
: વાંકી,
કેરા અને સામખિયાળીના પ્રા.આ. કેન્દ્રોને સીએચસી કરવા સણવા અને આડેસરમાં
નવું પીએચસી મંજૂર કરવા તથા લફરા, બરાયા, વાઘુરા, ટપ્પરમાં સબ સેન્ટર બનાવવાની દરખાસ્ત અંગે અધ્યક્ષસ્થાનેથી
ઠરાવ કરાયો હતો. મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે પોતાના મકાનમાં 40 વર્ષથી ચાલતું દવાખાનું નિ:શુલ્ક
અપાયું હતું તે જર્જરિરત થઇ જતાં નવું બિલ્ડિંગ અન્ય જગ્યાએ બનાવાયું છે, જેથી જર્જરિત મકાન પાછું સોંપવાની દાતા કેતનભાઇ
ખીમજી શાહની માગણી પર અધ્યક્ષસ્થાનેથી નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવતાં ડીડીઓએ સોંપણી
વખતે પરત કરવાની શરત ન હોવાથી જિ.પં.ની માલિકીનું ગણાય તેથી જિ.પં. કોઇને પરત કરી શકે
નહીં. - ગાંધીધામને
મનપા બનતાં આરોગ્ય કેન્દ્રોના સ્થળફેરનો ઠરાવ કરાયો : ગાંધીધામ
તાલુકા મહાનગરપાલિકા બનતાં બે પ્રા.આ. કેન્દ્ર કિડાણાને કોટડા (ઉ.) અને મીઠીરોહરને
ડગાળા ઉપરાંત નવ સબ સેન્ટરને અન્ય તાલુકામાં સ્થળફેર કરવા ઠરાવ કરાયો હતો. બરંદા, ડુમરા, ગોરેવાલી અને બાલાસર
ચાર નવા સીએચસીને પીએચસીમાંથી અપગ્રેડ કરાતાં તે પ્રા.આ. કેન્દ્રોને સ્થળફેર કરવા અધ્યક્ષસ્થાનેથી
ઠરાવ કરાયો હતો.