નવી દિલ્હી, તા. 10 : બ્રિક્સ શિખર
સંમેલનનાં આયોજન પૂર્વે સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવાતાં રાજધાની દિલ્હી છાવણીમાં
ફેરવાઈ ગઈ છે. દિલ્હીમાં અર્ધલશકરી દળોની 200 કંપની તેમજ 25 હજાર પોલીસ જવાન તૈનાત રહેશે. દિલ્હી પોલીસના વિશેષ કમિશનર મનીષકુમાર
અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે, એરપોર્ટ, હોટેલ, ભારત મંડપમ અને
વિદેશી મહેમાનોના આવવા-જવાના માર્ગો પર ખાસ સુરક્ષા રહેશે. બ્રિક્સ શિખર બેઠક દરમ્યાન,
વિદેશી અતિથિઓની સુરક્ષા માટે એન્ટિ ડ્રોન સિસ્ટમ, એન્ટિ એરક્રાફટ ગન, સ્નાઈપર સાથે ટીમો તૈનાત કરાઈ છે.
દિલ્હીમાં 11થી 13 સપ્ટેમ્બર સુધી 35 રૂટ અને 11 હોટેલ સુરક્ષાના ઘેરામાં રહેશે.
100થી વધુ એનએસજી કમાન્ડો તૈનાત
રહેશે. ડીસીપી સ્તરના અધિકારી સહિત 30 વરિષ્ઠ પોલીસ અધિકારી સુરક્ષા વ્યવસ્થા પર સતત નજર રાખશે. એક
હજારથી વધુ દિલ્હી પોલીસ `સ્વાત' કમાન્ડો પણ તૈનાત કરાયા છે. રાજધાનીના અનેક
રસ્તાઓ પર ટ્રાફિક પણ રોકી દેવાશે. નાગરિક ઉડ્ડયન વિભાગે સાત રાજ્યોના ઉડાન તાલીમ સંસ્થાનોની
ઉડાનો પર પણ આવતીકાલ શુક્રવારની સવારે સાતથી રવિવારની રાત્રે 11 વાગ્યા સુધી રોક મૂકી દીધી
છે.