ગાંધીધામ, તા. 2 : અહીંના મારવાડી યુવા મંચ તથા જાગૃતિ શાખા દ્વારા સમાજસેવા અને
જનકલ્યાણના ઉદ્દેશ્ય સાથે દ્વિતીય સામૂહિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમૂહલગ્નમાં છ જરૂરિયાતમંદ યુગલોનાં લગ્ન વૈદિક વિધિવિધાન અને સામાજિક પરંપરા અનુસાર
સંપન્ન કરાવવામાં આવ્યાં હતાં. નવદંપતીઓને તેમના નવા દાંપત્ય જીવનની સુખદ શરૂઆત માટે
સંપૂર્ણ કરિયાવર (ગૃહઉપયોગી સામગ્રી) ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં
અખિલ ભારતીય મારવાડી યુવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ એમ. જૈન, ગુજરાત પ્રાંતીય મારવાડી યુવા મંચના અધ્યક્ષ
અજય અગ્રવાલ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય
માલતીબેન મહેશ્વરી, મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી,
સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસ શેઠ, મંચના સ્થાપક
અધ્યક્ષ નંદલાલ ગોયલ, અધ્યક્ષ પવન ગોયલ, મંચના તમામ હોદ્દેદારો, પૂર્વ અધ્યક્ષો, દાતાઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા નવદંપતીઓને આશીર્વાદ
પાઠવવામાં આવ્યા હતા તેમજ દાતાઓના સહયોગ અને સમાજના સહકારથી આ સેવાયજ્ઞને સફળ બનાવવા
બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારવાડી યુવા મંચ દ્વારા ભવિષ્યમાં પણ સમાજના
જરૂરિયાતમંદ પરિવારોનાં કલ્યાણ માટે આવાં સેવાકીય અને જનહિતનાં કાર્યો સતત આયોજિત કરવામાં
આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.