નવી દિલ્હી, તા. 10 : કેન્દ્ર સરકારે
શુક્રવારે પાંચ મહિનામાં બીજીવાર આદેશ આપતાં પહેલાં વંદે માતરમ્ અને પછી જનગણમન ગાવાનું
જણાવ્યું હતું અને તમામ રાજ્યોને કડકપણે પાલન કરાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહ મંત્રાલયે
કહ્યું છે કે, આદેશોમાં એવા તમામ અવસરોની
યાદી આપવામાં આવી છે, જ્યાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને ગાવું
કે વગાડવું જરૂરી છે. સાથે જ એવા અવસરોની પણ જાણકારી આપી છે, જ્યાં બંને ગાઇ કે વગાડી શકાશે. આદેશોમાં બતાવાયું છે કે, જ્યારે કોઈ પણ એક કાર્યક્રમમાં બંને પ્રસ્તુત કરવાના હોય તો કાર્યક્રમની શરૂઆત
અને અંતમાં તેના ઉપયોગના શું નિયમો રહેશે.
ગૃહ મંત્રાલયે દોહરાવ્યું છે કે, જ્યારે પણ રાષ્ટ્રગીત
અને રાષ્ટ્રગાન બંને એકસાથે પ્રસ્તુત કરવાના હોય ત્યારે સૌથી પહેલાં રાષ્ટ્રગીત ગાવું
જોઈએ અને બાદમાં રાષ્ટ્રગાન થશે. મંત્રાલયે સાફ કર્યું હતું કે, જે રાજ્યોમાં રાજ્યગીત પણ પ્રસ્તુત કરવામાં આવે છે ત્યાં રાજ્યગીતને પણ રાષ્ટ્રગાન
અને રાષ્ટ્રગીત સાથે ગાવામાં કે વગાડવામાં આવશે.
ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન
પ્રસ્તુત કરતા સમયે તેના સાચા શબ્દ, ભાષા અને યોગ્ય ઉચ્ચારણનું
કડકાઈથી પાલન કરવું જોઈએ. આ માટે પ્રમાણિક પાઠ અને યોગ્ય ઉચ્ચારણ મંત્રાલયની વેબસાઈટ
ઉપર ઉપલબ્ધ છે. મંત્રાલયે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને
કહ્યું છે કે, પોતાના અધિકાર ક્ષેત્રના અંતર્ગત આવતા સંસ્થાનો
અને સંગઠનોને જરૂરી નિર્દેશ જાહેર કરે જેથી નિયમોનું કડકાઈથી પાલન થઈ શકે.