• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

સંસદમાં મોદીને ઘેરવાનો વિપક્ષી વ્યૂહ વિફળ

સંસદનાં બંને ગૃહમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવનાં નામે સરકાર સામે સંગ્રામ શરૂ કરીને પરાજિત થયેલા વિરોધી નેતાઓને ટ્રમ્પના ટેરીફ વોરનું તરણું મળ્યું - મોદી ઉપર નિષ્ફળ વિદેશનીતિનો પ્રહાર કરવા માટે. પણ, આ દરમ્યાન મૃંબઈની વિશેષ અદાલતે માલેગાંવ કેસના તમામ અપરાધીઓને નિર્દોષ ઠરાવીને મુક્ત જાહેર કર્યા તેનો `આઘાત' લાગ્યો હશે. હવે ચૂંટણીપંચ પછી ન્યાયતંત્રનું બહાનું મળશે. રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે વિરોધીઓની બોલતી બંધ કરી દીધી. `િહંદુ આતંકવાદ'નો આક્ષેપ અને પ્રચાર કરનારા કોંગ્રેસી નેતાઓને કહ્યું હતું કે હિન્દુ આતંકવાદી નથી અને મુંબઈની વિશેષ અદાલતે પણ આ ચુકાદો આપ્યો છે. રાહુલ ગાંધી અને તેમના સાથી પક્ષોએ મોદી સરકાર સામેના જંગમાં પછડાટ ખાધી છે, ભલે ટાંગ ઊંચી બતાવે... ઓપરેશન સિંદૂરનાં નામે સંસદમાં શાબ્દિક સંગ્રામમાં મોદી સરકારને પરાજિત કરવાનો દાવ - વિરોધપક્ષનો વ્યૂહ સફળ થયો નથી. કોંગ્રેસનો વ્યૂહ પહેલગામમાં સરકારી એજન્સીઓની અને ઓપરેશન સિંદૂરમાં સેનાની નિષ્ફળતા બતાવવાનો - પુરવાર કરવાનો હતો. વડાપ્રધાન મોદી ગૃહમાં આવીને અમેરિકી પ્રેસિડન્ટના મધ્યસ્થીના દાવાને નામ આપીને રદિયો આપે એવી માગણી મુખ્ય હતી, પણ મોદીએ ટ્રમ્પનું નામ આપ્યા વિના કહ્યું કે દુનિયાના કોઈ દેશ અથવા નેતાએ મધ્યસ્થી કરી નથી અને કોઈ મધ્યસ્થી સ્વીકાર્ય નથી. આવાં સ્પષ્ટ, દૃઢ નિવેદન પછી પણ રાહુલ ગાંધી કહે છે મોદીને ડર છે કે રદિયો આપે તો ટ્રમ્પ પુરાવા આપશે ! વાસ્તવમાં ટ્રમ્પ પાસે પુરાવા હોય તો મોદીના `જનરલ રદિયા' પછી પણ આપી શકે છે ! કોંગ્રેસની પ્રથમ દાવમાં `હાર' થયા પછી બીજો મુદ્દો મળ્યો-ટ્રમ્પે ટેરિફ આક્રમણ કર્યું તેથી કહે છે કે મોદીની વિદેશનીતિ નિષ્ફળ ગઈ છે. પેલી વરૂ અને ઘેટાંની વાર્તા છે ને ? ટ્રમ્પે ટેરિફ વધારીને મોદીને `રદિયો' આપ્યો? અને ભારતના વિરોધ પક્ષો ખુશ થઈ ગયા! અને ગૃહમાં ધમાલ કરી `સરકાર જવાબ આપે... હવે શું કરશો?' આપણા વિરોધી નેતાઓ ભારતના હિતશત્રુ છે કે નહીં ?!  વિદેશનીતિની નિષ્ફળતાનાં ગાણાં ગાઇ રહેલા વિરોધી નેતાઓ જાણે છે કે યુનાઇટેડ નેશન્સનાં તમામ સભ્ય રાષ્ટ્રોએ - યુએન સહિત - પાકિસ્તાની આતંકવાદની સખત શબ્દોમાં નામ આપીને ટીકા કરી છે - વિરોધ કર્યો છે. માત્ર ત્રણ દેશોએ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. અને હા, ભારતના વિરોધ પક્ષો પણ પાકિસ્તાનને સમર્થન આપે છે ! ઓપરેશન સિંદૂરમાં પહેલગામના હત્યારા કેમ પકડાયા નહીં એમ પૂછનારાને જવાબ મળ્યો. ત્રણે  ત્રણ ઠાર થયા. `ઓપરેશન મહાદેવ'માં પણ વિરોધીઓને ખુશી નથી થઇ, દુ:ખ થયું છે ! સિંદૂર અને મહાદેવનાં નામ સામે વિરોધ થાય છે ! ગૃહપ્રધાન અમિત શાહે સેક્યુલરિયા નેતાઓને કહ્યું, `હર હર મહાદેવ' તો છત્રપતિ શિવાજીની હાકલ - યુદ્ધટંકાર છે - ધર્મનું સૂત્ર નથી ! `પોક' -  આપણા કાશ્મીર વિસ્તારને  જીતી કેમ નહીં લેવાયું એવો પ્રશ્ન - ટીકા કરનારા વિરોધીઓને અમિત શાહે સામો વેધક પ્રશ્ન કર્યો, `1971માં ઈન્દિરા ગાંધીએ શિમલા કરાર કર્યા, ત્યારે કેમ આપણે પ્રદેશ પાછો લીધો નહીં ?' કોંગ્રેસે ગુમાવેલો પ્રદેશ ભાજપ પાછો મેળવશે એવી ઘોષણા પણ અમિત શાહે કરી. કેન્દ્રમાં કોંગ્રેસી શાસન દરમ્યાન થયેલા આતંકી હુમલા ગણાવ્યા, પણ મોદી કેમ રાજ્યસભામાં આવ્યા નહીં કહીને કોંગ્રેસના સભ્યો સભાત્યાગ કરી ગયા. સત્ય સાંભળવા રોકાયા નહીં. 

Panchang

dd