• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

સમાજમાં શિક્ષણ, એકતા, સંગઠન, યુવાનોની પ્રગતિ મહત્ત્વની

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 6 : પશ્ચિમ કચ્છ કચ્છી રાજગોર સમાજ (નખત્રાણા-લખપત-અબડાસા) દ્વારા નખત્રાણા તાલુકાના જડેશ્વર મહાદેવનાં સાંનિધ્યમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમના સવારનાં સત્રમાં રૂદ્રાભિષેક, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, બપોરના બીજા સત્રમાં સમાજનાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 102 વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા સમાજના 11 જેટલા ભાઈ-બહેનનું વિશિષ્ટ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હનુમંતધામ, નવા કટારિયાના મહંત ભાનુપ્રસાદ બાપુ, જડેશ્વર મંદિરના મહંત નારાણગિરિ બાપુ, કાર્યક્રમના અધ્યક્ષ ભરતભાઈ ગોર, સમાજના પ્રમુખ વિપુલભાઈ ગોર, પૂર્વ પ્રમુખ ગિરીશ ગોર તથા રાજેશ ગોર, સામાજિક અગ્રણી નોટરી જિતેન્દ્રપ્રસાદ ગોરના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, મહેમાનોનું શાબ્દિક સ્વાગત ધીરેનભાઈ ગોરે કર્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ ગોર, હિરાલાલ ગોર, નરોત્તમ ગોર, પંકજ ગોર, નાનજી ગોર, પ્રકાશ ગોર, વિમલ નાગુ, વિરેન ગોર, આનંદ વ્યાસ, હસમુખભાઈ ગોર (માંડવી), ધર્મેશ ગોર, નીતિન કેશવાણી, જિતેન્દ્ર ગોર, રાજેશ ભટ્ટ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા મંડળ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું, આ તકે ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું સમાજ વતી સન્માન કરાયું હતુ, મહાપ્રસાદના દાતા તરીકે પશ્ચિમ કચ્છ કચ્છી રાજગોર યુવક મંડળ રહ્યું હતું. મંચસ્થ રહેલા સમાજના આગેવાનોએ પણ પ્રાસંગિક ઉદબોધનમાં સમાજમાં શિક્ષણ, એકતા, સંગઠન અને યુવાનોની પ્રગતિના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કિશોર ગોર, મનોજ ગોર, અમૃત ભટ્ટ, રમેશ ભટ્ટ, ભરત ગોર, મહેશ ગોર, કલ્પેશ ગોર, કમલ ગોર, પીયુષ ગોરે સહયોગ આપ્યો હતો. સંચાલન વિનયકાંત નાકર અને ઝીલબેન ગોરે જ્યારે હરેશભાઈ ગોરે આભારવિધિ કર્યા હતા. 

Panchang

dd