ગાંધીધામ, તા. 30 : કૃષિ અને બાગાયતી નિકાસને વેગ આપવા કચ્છમાં આધુનિક ગામા ઈરેડીએશન
લેબોરેટરી સ્થાપવા ગાંધીધામ ચેમ્બર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી. કેન્દ્રીય
વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજાસિંહ ચૌહાણ સમક્ષ રજૂઆત
કરાઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે રજૂઆતને ટાંકીને જણાવ્યુ હતુ કે અહીંથી કચ્છ
ઉપરાંત દેશના વિશાળ કૃષિ ઉત્પાદન કરતા રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા,
હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમી ઉત્તરપ્રદેશથી ચોખા, ઘઉં, કઠોળ, સોયાબીન તેલીબિયા તથા અન્ય કૃષિ પેદાશો કચ્છના
બંદરો મારફત મોટા પાયે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ થાય છે .તેમજ ભારત ચોખા,
ઘઉં અને કઠોળના વિશ્વના અગ્રણી ઉત્પાદક દેશો પૈકી એક હોવાથી કૃષિ નિકાસમાં
હજુ વિશાળ સંભાવનાઓ રહેલી છે. અમેરિકા, યુરોપ તથા અન્ય વિકસિત
દેશોમાં કૃષિ અને બાગાયતી પેદાશોની નિકાસ માટે
ફૂડ સેફ્ટી, ફાઇટોસેનિટરી, ક્વોરન્ટાઈન
જીવાત નિયંત્રણ તથા નિર્ધારિત ઇરેડિએશન ટ્રીટમેન્ટ જેવી કડક આંતરરાષ્ટ્રીય આવશ્યકતાઓનું
પાલન કરવું પડે છે. હાલમાં કચ્છ તથા કંડલા-મુંદરા પર નિર્ભર નિકાસકારોને ગામા ઇરેડિએશન
સબંધિત સુવિધા અને પ્રમાણપત્ર માટે મુંબઈ સહિતના દૂરના કેન્દ્રો પર નિર્ભર રહેવુ પડે
છે. જેના કારણે વધારાનો પરિવહન ખર્ચ સમયનો બગાડ, લોજિસ્ટિક વિલંભ
તથા ખાસ કરીને નાશવત કૃષિ પેદાશોની ગુણવત્તા અને રોલ્ફ લાઇફ પર પ્રતિકૂળ અસર થાય છે.
મંત્રી મહેશ તિથાર્ણીએ જણાવ્યુ હતુ કે આ લેબ સ્થપાય તો નોંધપાત્ર વધારાના પરિવહન અને
હેન્ડાલિંગ ખર્ચ વધારાનો પરિવહન સમય અને લોજિસ્ટિકલ વિલંબ, નાશવત
કૃષિ પેદાશોના બગાડ અથવા નુકસાનના જોખમમા નોધપાત્ર ઘટાડો થવાથી અત્યંત સ્પર્ધાત્મક
આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય નિકાસકારોની
સ્પર્ધાત્મકતામાં વૃદ્ધિ થશે. આ સુવિધામાં
ફકત કચ્છ નહીં, પરંતુ દેશના મોટાભાગની કૃષિ નિકાસ ઈકોસિસ્ટમને
લાભ થશે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડા,
વાણિજય અને કૃષિ મંત્રાલયના સચિવો અને ચેરમેન, કૃષિ અને પ્રોસેસ્ડ ફુડ પ્રોડકટ્સ નિકાસ વિકાસ સત્તામંડળ સમક્ષ રજૂઆત કરાઈ
હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.