મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 30 : સુગરી પોતાના
માળા જ્યાં પોતાની જરૂરિયાત વાળી જગ્યા અને જ્યાં સલામતી હોય ત્યાં જ પોતાના માળા બનાવીને
બચ્ચા ડર વગર ઉછરી શકે. ત્યાં માળા માટે ઘાસ તથા પીવા પાણી ખાવા દાણા મળી શકે એ વિસ્તારમાં
માળા બનાવીને રહે છે નખત્રાણા તાલુકાના નેત્રા
ગામની એક વાડીમાં હાલ સુગરીઓએ જાણે આખી `સોસાયટી' જ વસાવી
હોય તેવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. વાડીમાં અંદાજે 250થી વધું સુગરીના માળા જોવા
મળી રહ્યા છે. મોટી સંખ્યામાં સુગરીઓના કલબલાટથી સમગ્ર વાડીનું વાતાવરણ ગુંજી ઊઠે છે
અને પ્રકૃતિપ્રેમીઓ માટે આ દૃશ્ય મનને શાંતિ આપનારું બની રહ્યું છે. ઉપસરપંચ રસિકભાઈ
પટેલે કચ્છમિત્રને કહ્યું કે, અમારી
વાડીમાં દર વર્ષે સુગરીઓ અહીં આવી માળા બનાવીને પોતાનું રહેઠાણ વસાવે છે. સામાન્ય રીતે
ચોમાસાની શરૂઆત સાથે સુગરી તળાવ, કૂવા કે અન્ય પાણી ભરેલી જગ્યાની
આસપાસ આવેલા કાંટાવાળા વૃક્ષોની પાતળી ડાળીઓ પર માળો ગૂંથે છે જે લટકતો રહે તે રીતે
તૈયાર કરવામાં આવતો આ માળો તથા તેનું લાંબું નાળ ચંબુ આકારના પ્રવેશમાર્ગ સુગરીની કુદરતી
બુદ્ધિ અને કારીગરીનું ઉત્તમ ઉદાહરણ છે. કોઈ આર્કિટેક્ટની ડિગ્રી કે તાલીમ વિના સુગરી
દ્વારા ગૂંથવામાં આવતો આ માળો અત્યંત ઝીણો, મજબૂત અને વિશિષ્ટ
હોય છે. વરસાદ કે પવન-વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ માળામાં પાણી સરળતાથી પ્રવેશી
ન શકે અને માળો સુરક્ષિત રહે તે રીતે તેની રચના કરવામાં આવે છે.