ભુજ, તા. 30 : શહેરની જૂની પ્રતિષ્ઠિત ટ્રાવેલ્સ
કંપની સોશિયલ મીડિયાની બનાવટી કંપનીની અલ્બેનિયાના વિઝા માટે આકર્ષક જાહેરાત જોઈ જાળમાં
ફસાઈ જતા ઓનલાઈન 17 લાખની છેતરપિંડીનો
ભોગ બન્યાનું સામે આવ્યું છે. આ અંગે ભુજન પંચમુખા હનુમાન શેરીમાં કિશોર ટ્રાવેલ્સ
ચલાવતા કિશોરભાઈ ગોરજીએ એ-ડિવિઝન પોલીસ મથકે આજે નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે જાન્યુઆરી-2026માં ઈન્સ્ટાગ્રામ પર ગ્રેટર
ઈમિગ્રેશન્સ નામની ચેનલમાં વિઝા માટેની જાહેરાતો જોતા આપેલા મોબાઈલ નંબરનો સંપર્ક કરતા
રણવીરસિંહ (એચઓડી) - ચંદીગઢવાળાએ ફોન ઉપાડયો હતો. અને જણાવ્યું હતું કે અલ્મેનિયા દેશની
કંપનીમાં કુલ 39 માણસોની જરૂરિયાત છે. તેના
વિઝા અમે કરાવી આપશું તેવી ખાતરી અને વિશ્વાસ બેસાડયો હતો. આ બાદ પણ રણવીરસિંહ સામે
આ અંગે વાતચીત થતી રહેતી હતી. દરમ્યાન આજ કંપનીમાંથી સોનિયા ઠાકુરનો ફોન આવ્યો હતો.
અને ગ્રાહકોના વીઝા કઢાવવા પાસપોર્ટ વોટસએપ પર માંગ્યા હતા. આ બાદ વિઝા તૈયાર થઈ ગયાનું
જણાવી વિઝા વોટ્સએપ પર મોકલ્યા છે તેના ચાર્જના 60 હજાર કંપની બેન્ક ખાતામાં જમા કરાવવા જણાવતા ફરિયાદીએ તે મુજબ
નાણા જમા કરાવ્યા હતા. આ પ્રમાણે ગ્રાહકોના વિઝા તૈયાર થતા તેઓના કહેવા પ્રમાણે કુલ
મળીને રૂા. 27 લાખ જમા કરાવ્યા હતા. બાદમાં
તા. 7/3/26થી 31/3/26 સુધી ફરિયાદીએ તેમના ગ્રાહકોની
પ્લેનની ટિકિટ સારું અવાર-નવાર રણવીરસિંહ અને સોનિયા ઠાકુરને ફોન કર્યો પણ તેઓએ ફોન
ઉપાડયો નહીં. આ થી ફરિયાદીને શક-વહેમ જતા મોકલેવા વિઝાની ખરાઈ કરાવા વિઝા એમ્બેસી-દિલ્હીમાં
વિઝાઓના મેઈલ કરી તપાસ કરતા વળતા મેઈલમાં જવાબ આવ્યો કે, તમામ વિઝાઅ ખોટી છે, આ
બાદ અવાર-નવાર બન્ને આરોપીને ફોન કરવા છતાં પ્રત્યુતર મળ્યો ન હતો. આમ બન્ને ઓનલાઈન
રૂા. 17 લાખ મેળવી પરત ન આપી છેતરપિંડી
કર્યાની ફરિયાદ નોંધાવી છે.