દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 25 : કચ્છના સપૂત પૂર્વ રેલવેમંત્રી
અને બંગાળી સંસ્કૃતિ-સભ્યતામાં માહેર દિનેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોઈ પણ મુદ્દાને વાતચીત, સંવાદ અને વિશ્વાસ વડે જ સુલઝાવી શકાય છે. પ્રશાસનિક અનુભવથી પડોશી દેશ - બાંગલાદેશ
સાથે હૂંફાળા અને મૈત્રીપૂર્ણ સંબંધોના સ્થાપન થકી જ વ્યાપાર, પાણી વિતરણ, સીમા સુરક્ષા અને સાંસ્કૃતિક જોડાણ જેવા
મુદ્દાઓ પર કામ તેજીથી થાય એવી ઉમ્મીદ રાખવામાં આવી છે. 28મી જૂન સુધીમાં બાંગલાદેશ ખાતે નાગરિકો
માટે ટૂરિસ્ટ વિઝા પ્રક્રિયા ફરી શરૂ કરી દેવાશે એવું તેઓએ જણાવ્યું હતું. ગાર્ડ ઓફ
ઓનરમાં શ્રી ત્રિવેદીના અર્ધાગિની ડો. મીનલબેન ત્રિવેદી પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય
છે કે, તાજેતરમાં ગાંધીજીના પૌત્ર અને બંગાળના પૂર્વ
રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ દિનેશ ત્રિવેદીની બાંગલાદેશ ખાતેની હાઈકમિશનર તરીકેની પસંદગી
નખશિખ ઉચિત અને બહુઆયામી ગણાવતાં દેશમાં માધ્યમોએ ટાઈટલ સ્થાન આપ્યું હતું. કચ્છ માટે
વિશેષ આનંદની વાત એ છે કે, દિનેશભાઈને ભારત સરકારમાં ગૃહ મંત્રલાયના
મુખ્ય સચિવ કમલેશ રબીદાસે જાહેર આદેશ બહાર પાડીને પ્રોટોકોલના પરિપ્રેક્ષ્યમાં કેબિનેટ
મિનિસ્ટર તરીકેનો દરજ્જો આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પ્રકાશિત કર્યો હતો. શ્રી
ત્રિવેદીના કિસ્સામાં મોદી સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને રાજકીય સમીક્ષકો અભૂતપૂર્વ
ગણાવી રહ્યા છે. કચ્છને કેન્દ્રસ્તરે પ્રધાનપદ મળવાનાં સમણાં જોતી કચ્છીયત માટે આને
ગૌરવની ઘડી તરીકે મૂલવાઈ રહ્યું છે.