ગાંધીધામ, તા. 17 : વૈશાખી ગરમીથી લોકો પરેશાન
છે ત્યારે આ અસહ્ય ગરમીમાં શ્રમિકો પાસે બપોરના સમયે ખુલ્લા મેદાન અને ઉદ્યોગ વિસ્તારમાં
કામ ન લેવામાં આવે અને શ્રમિકોનાં આરોગ્યનું ધ્યાન રાખવા સહિતની બાબતોને લઈને ગાંધીધામ
મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જનરલ મજદૂર સંઘ દ્વારા નાયબ મ્યુનિસિપલ
કમિશનર સંજય રામાનુજને મળીને અસહ્ય ગરમીમાં શ્રમિકોનાં સ્વાસ્થ્યની ચિંતા સેવીને તડકામાં
કામગીરી લેવામાં ન આવે તેમજ કંપનીઓ અને કારખાનાઓમાં શ્રમિકો માટે પીવાનું ઠંડું પાણી
તથા ઓઆરએસ તેમજ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત
કરાઈ હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનરે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરીને સૂચનાઓ આપવામાં
આવશે તેમ કહ્યું હતું. સંઘના અધ્યક્ષ સંતોષ
મિશ્રા અને મહામંત્રી વંદના મિશ્રાનાં માર્ગદર્શન હેઠળ કોષાધ્યક્ષ કંચનલતા સિદ્ધ, મહિલા
વિભાગ સચિવ અર્ચના શ્રીવાસ્તવ, કાર્યાલય સચિવ મુકેશભાઈ ભરવાડ, પાયલ શ્રીવાસ્તવ સહિતના
જોડાયા હતા.