માધાપર, તા. 21 : અહીંના નવાવાસ સ્થિત માધવ રેસીડેન્સી, એશ્વર્યાનગરના રહીશો દ્વારા ગ્રામ પંચાયત ખાતે
ગટર તેમજ રસ્તાની માગણીની રજૂઆત કરાઈ હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લાં 14 વર્ષથી ગટર તેમજ રોડ રસ્તાની
વ્યવસ્થા નથી, ત્રણ માસ પહેલાં માધવ રેસીડેન્સી,
એશ્વર્યાનગર ખાતે ગટરનું કામ પંચાયત દ્વારા ચાલુ કરાયું હતું,
પણ થોડુક કામ થયા બાદ બંધ થઇ ગયું. આ કામ પૂર્ણ કરવા માટે વારંવાર રજૂઆતો
કરી હોવા છતાં પણ ઉકેલ આવ્યો નથી. ગટરના ખાડા 10 દિવસમાં ભરાઈ જાય છે અને વારંવાર
ખાલી કરાવવા પડે છે, જેથી અમુક
લોકો આ પાણી શેરીઓમાં નિકાલ કરે છે. મચ્છરજન્ય રોગચાળો તેમજ અન્ય બીમારીઓ ફાટી નીકળવાની
સંભાવના છે. સતત ભરેલાં રહેતાં પાણીમાં અતિ દુર્ગંધ આવે છે. આ સમસ્યા ઉકેલવા ગ્રામ
પંચાયતમાં બહોળી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહી અરજી સ્વરૂપે માગણી કરી હતી.