ભુજ, તા. 22 : ઉત્તરપ્રદેશના ગુમ મુસ્લિમ
યુવાનનું 31 વર્ષ પછી પરિવારજનો સાથે મિલન
કરાવાયું હતું. ઉત્તરપ્રદેશના શ્રાવરતી જિલ્લાના ઈકોના ગામના નરપતપુર વિસ્તારમાં રહેતો
26 વર્ષિય યુવાન અકબરઅલી ગુમ થતાં
પરિવારજનોએ તેની શોધ ચલાવી હતી, પણ વર્ષો
સુધી કોઈ ભાળ ન મળતાં પરિવારે તેને મૃત માની લીધો હતો. અનેક રાજ્યોના શહેરો,
ગામોમાં ભટકી તે યુવાન વર્ષો બાદ આણંદના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સેવાશ્રમ
ખાતે પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિન્ટિયર
પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા-ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારાના
સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમથી આ યુવાનને સાથે તેડી આવ્યા. યુ.પી. પોલીસની
મદદથી તેનું ઘર શોધી પરિવાર સાથે મિલન કરાવાયું. મહારાષ્ટ્રના પનવેલ ખાતે રહેતા તેમના
ભત્રીજાઓ મોહમદઈસ્લામ અને મોહમદહારુન ખાને ભુજ આવી તેમની સાથે લઈ ગયા. માનવતાનાં કાર્યમાં
પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ
શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી,
રફીક બાવા, પંકજ કુરવા, દિલીપ
લોડાયા, દામજીભાઈ મૈશેરી, ચંદુભા ચૌહાણ
સહયોગી બન્યા હતા.