ગાંધીધામ, તા. 25 : તાજેતરમાં ભુજ-રાજકોટ વચ્ચે ભુજથી સવારે અને રાજકોટથી બપોરે રવાના થતી ટ્રેન સેવાની મુદત પૂરી થઈ ગયા બાદ બંધ કરી દેવાઈ હતી. આ ટ્રેનને રેલવે દ્વારા દૈનિકના
બદલે સપ્તાહમાં ત્રણ દિવસ રાત્રિના સમયે દોડાવવાનો નિર્ણય લેવાયો છે. નવા સમયપત્રકથી
શરૂ થયેલી આ ટ્રેનના કારણે વેપારીવર્ગ અને સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચે ફરવા આવતા પ્રવાસીઓને
લાભદાયક રહેશે. રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભુજ-રાજકોટ
વચ્ચેની સાપ્તાહિક ટ્રેનના 54 ફેરા મંજૂર
કરવામાં આવ્યા છે. 09546 નંબરની ટ્રેન
ભુજથી દર બુધવારે શુક્રવારે અને રવિવારે રાત્રિના 11.15 વાગ્યે રવાના થઈને બીજે દિવસે સવારે 5.50 કલાકે રાજકોટ પહોંચશે. એ જ
રીતે 09545 નંબરની ટ્રેન રાજકોટ-ભુજ દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે રાજકોટથી રાત્રિના 10.30 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે સવારે 5 વાગ્યે ભુજ પહોંચશે. બંને દિશામાં આ ટ્રેન અંજાર, આદિપુર, ગાંધીધામ,
ભચાઉ, સામખિયાળી, માળિયા
મિંયાણા, દહીંસરા,
મોરબી સ્ટેશન ખાતે રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી,
સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ જોડવામાં આવશે. ખાસ કરીને રણોત્સવ અને દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને
કચ્છ આવવા માટે આ ટ્રેન ઉપયોગી સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સમય બદલાવી ભુજ-રાજકોટ ટ્રેન સેવા
શરૂ કરવા રજૂઆત કરી હતી.