ગાંધીધામ, તા. 26 : કોંગ્રેસના કાર્યકાળના 60 વર્ષમાં દેશ પાછળ ધકેલાઈ ગયો હતો, જ્યારે તેની સામે 10 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રેલવે સહિત અનેક ક્ષેત્રોમાં દેશની પ્રગતિ અનેકઘણી થઈ છે. માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામગીરી કરાતી હોવાનું અને કચ્છ સહિત દેશમાં રેલવેની કાયાકલ્પ થઈ હોવાનું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. આ વેળાએ તેમની સમક્ષ કચ્છના રેલવેના પ્રશ્નો રજૂ કરાયા હતા. કચ્છમાં રેલવેના અંડરબ્રિજ, પુલના ચાલતાં કામોનો ઉલ્લેખ કરીને કચ્છમાં જ્યાં પણ જરૂર હશે તેની મંજૂરી અપાશે તેવી ખાતરી આપી હતી. કચ્છની પવિત્ર ભૂમિ ઉપર સ્વાગત કરવા બદલ અભિનંદન પાઠવી આ સ્નેહનું ઋણ મારા ઉપર ચડયું હોવાનો ભાવ વ્યકત કર્યો હતો. તેમણે કોંગ્રેસના 60 વર્ષના શાસન અને વર્ષ 20014થી અત્યાર સુધીના 10 વર્ષના શાસનમાં 2014 પહેલાં દેશની સ્થિતિ અને 2024 પછી દેશની તમામ ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ચિતાર લોકો સમક્ષ મૂક્યો હતો. 60 વર્ષના શાસનનો ઈતિહાસ વર્ણવતાં કહ્યું હતું કે, ઈતિહાસ જાણવો જોઈએ કારણ કે, ન જાણીએ તો પુનરાવર્તિત થાય છે. 60 વર્ષના શાસન સામે 10 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન ભારી પડશે, તેવું કહી ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની કામ કરવાની ઈચ્છાશક્તિ છે, નિયત છે, નીતિ છે, આગળ જોવાની ઈચ્છાશક્તિ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 60 વર્ષનાં શાસનમાં 20 હજાર કિલોમીટર રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ થયું, જ્યારે 2010માં તેની સામે 44 હજાર કિલોમીટરનો રેલવે ટ્રેક ઈલેક્ટ્રિફાઈ થયો. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા પોતાના સંસદીય મત ક્ષેત્રમાં ઝડપભેર કામ કરાવતા હોવાનું કહી કચ્છ લોકસભા મત વિસ્તારમાં જ્યાં પણ રેલવે અંડરબ્રિજની જરૂરિયાત હશે તો કહેજો તમારો ભાઈ બેઠો છે. તેમણે રજૂઆતો અંગે ચેમ્બરના પ્રતિનિધિ મંડળને દિલ્હી આવવા ઈજન આપી તમામ મુદ્દાઓના ત્વરિત ઉકેલની ખાતરી આપી હતી. કચ્છના સાંસદ અને ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ રેલવેમાં નવી ક્રાંતિ અને ટેક્નોલોજી આવી તેનું શ્રેય રેલવેમંત્રીને જાય છે, તેવું કહી તેમણે વડાપ્રધાનનો ભરોસો સાર્થક કર્યો હોવાનું ઉમેર્યું હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુજે સ્વાગત પ્રવચનમાં મહેમાનોને આવકારી પશ્ચિમ રેલવેના આર્થિક ઉપાર્જનમાં ગાંધીધામ એરિયા દ્વારા અપાતાં મહત્ત્વનાં યોગદાન વિશે વાત કરી હતી. ગાંધીધામ સંકુલના ભાવિ વિકાસ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને કચ્છને અમદાવાદ સુધીની વંદે ભારત ફાસ્ટ ટ્રેનનો મુદ્દો આગામી 100 દિવસના પ્રોગ્રામાં સમાવવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. આ વેળાએ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના વાડીલાલ દોશી અને અન્ય અગ્રણીઓએ બંદરીય માંડવીને રેલવે નેટવર્ક સાથે જોડવા રજૂઆત કરી હતી. આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વવરી, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, યુવા મોરચાના પ્રશાંત કોરાટ, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ, કારોબારી ચેરમેન એ.કે. સિંઘ, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારખ, માનદ્મંત્રી જતી અગ્રવાલ, ખજાનચી નરેન્દ્ર રામાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ કર્યું હતું. - હવે નજીકના જ દિવસોમાં નલિયા સુધી સીધા ટ્રેન માર્ગે પહોંચી શકાશે : ગાંધીધામ, તા. 26 : ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય રેલવેમંત્રીએ ભાજપ સરકારના 120 વર્ષના શાસનમાં રેલવેનાં થયેલાં વિકાસકાર્યો ઉપર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, હવે નલિયા સીધા રેલવે માર્ગે પહોંચી શકાશે. આ ઉપરાંત માળખાકીય સુવિધાનાં કામો અંગે પણ પ્રકાશ પાડયો હતો. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે સાંસદની કાર્યપદ્ધતિને બિરદાવતા આંકડા સહિતની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભુજ - દેશલપર - નલિયા રેલવે ગેજ પરિવર્તનની કામગીરી દેશલપર સુધી પૂરી થઈ ગઈ છે અને નલિયા સુધીનું કામ ચાલુ છે અને નલિયા સુધી ટ્રેન બદલ્યા વિના પહોંચી શકાશે, તેવું કહ્યું હતું. રેલવેમંત્રીના શબ્દોથી તુરંતમાં જ હવે પેસેન્જર ટ્રેન દોડશે, તેવો આશાવાદ પ્રબળ બન્યો છે. વીરમ ગામ- સામખિયાળી અને પાલપુર- સામખિયાળી ડબલિંગ ટ્રેકનું કામ પૂર્ણ થયું છે, જ્યારે સામખિયાળીથી આદિપુર સુધી ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને ચાર લાઈન પાથરવાનું કામ શરૂ થઈ ગયું છે, જેના કારણે ગાડીઓને રોકાવાની જરૂરિયાત નહીં પડે. આ ઉપરાંત કચ્છ લોકસભા મત વિસ્તારમાં માતબર રકમના ખર્ચે ભુજ, ભચાઉ, સામખિયાળી, મોરબી અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના નવનિર્માણની કામગીરી ચાલુ હોવાની માહિતી તેમણે આપી હતી.