ભુજ, તા. 5 : માધાપરના આહીર યુવાનને હનીટ્રેપમાં ફસાવી દેતાં તેણે આત્મહત્યા કરી લીધાના બનાવની આરોપી સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ મેલાભાઈ વસાવાના જામીન મંજૂર થયા છે. માત્ર કચ્છ જ નહીં રાજ્યભરમાં ચકચાર મચાવનારા આ હનીટ્રેપ અને મરવા મજબૂર કરવાના કેસમાં માસ્ટરમાઈન્ડ તરીકે મનીષા ગોસ્વામી સામે આવી હતી. તેણે જેલની દીવાલો વચ્ચે આ આખો કારસો રચ્યો હતો. આ ષડયંત્રમાં કાયદાવિદ્ વકીલો સહિત અનેકની સંડોવણી ખૂલતાં અનેક આરોપીની અટક થઈ હતી. હનીટ્રેપમાં આહીર યુવાન દિલીપને ફસાવનાર દિવ્યા ચૌહાણ સાથે રિદ્ધિ વસાવા હતી. આ ષડયંત્રમાં રિદ્ધિની સામેલગીરી નીકળતાં તેની અટક કરવામાં આવી હતી. રિદ્ધિએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતાં જજ દિવ્યેશ એ. જોશીએ તેના જામીન મંજૂર કર્યા છે. રિદ્ધિના વકીલ તરીકે શ્રીકાર એચ. ભટ્ટે હાજર રહી દલીલો કરી હતી.