બિશ્કેક, તા. 31 : લોહિયાળ યુદ્ધોથી દુનિયાભરમાં
ઉચાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય એશિયાની ભૂમિ પરથી એવો સંદેશ આપ્યો હતો કે, આપણે હવે અંતહીન યુદ્ધથી યુદ્ધના અંત સુધી જવું
પડશે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના શિખર સંમેલન
વચ્ચે મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન
સાથે મુલાકાત કરી હતી. પુતિન સાથેની બેઠકમાં પીએમ મોદીએ યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતનું
વલણ દોહરાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત યુક્રેન યુદ્ધ
મુદ્દે કરવામાં આવતા તમામ શાંતિપૂર્ણ પ્રયાસનું સમર્થન કરે છે અને આગળ પણ કરતું રહેશે.
મોદીએ મહત્ત્વનો સંદેશ આપતાં ઉમેર્યું હતું કે, માનવતાની ભલાઈ
માટે અંતહીન યુદ્ધથી યુદ્ધના અંત સુધી જવું પડશે. જ્યારે રાષ્ટ્રપતિ પુતિને ભારત અને
રશિયા વચ્ચે મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. પુતિને કહ્યું હતું કે, બન્ને દેશના સંબંધ સતત મજબૂત બની રહ્યા છે અને તેમાં પીએમ મોદીની વ્યક્તિગત
રુચિ અને ધ્યાન મહત્ત્વની ભૂમિકામાં છે. પુતિને ભારત અને રશિયા વચ્ચેના વેપાર અને આર્થિક
સહયોગ અંગે સકારાત્મક વલણ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, દ્વિપક્ષીય વેપારમાં બે ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે. જ્યારે પીએમ મોદીએ સપ્ટેમ્બરમાં
દિલ્હીમાં થનારા બ્રિક્સ શિખર સંમેલનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,
રાષ્ટ્રપતિ પુતિનની સંમેલન માટે ભારતયાત્રા બન્ને દેશના સંબંધોને મજબૂતી
આપશે. પીએમ મોદીએ વાતચીત દરમિયાન શાંતિ અને સંવાદ ઉપર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું
કે, તમામ સમસ્યાઓનું સમાધાન શાંતિપૂર્ણ રીતે આવવું જોઈએ. વર્તમાન
સ્થિતિમાં પૂરી માનવતાને શાંતિની જરૂર છે. મોદી અને પુતિન વચ્ચે બેઠક અડધો કલાકથી વધારે
ચાલી હતી. આ બેઠકમાં વૈકલ્પિક સપ્લાય રૂટ, ક્ષેત્રીય કનેક્ટિવિટી
અને બહુપક્ષીય સહયોગ જેવા મુદ્દા ચર્ચાયા હોવાનું સૂત્રોમાંથી સામે આવ્યું હતું. બેઠક
બાદ પુતિન અને મોદી એકસાથે નોમેડ ગેમ્સ કાર્યક્રમ માટે રવાના થયા હતા. બન્ને નેતાઓનું
એક જ ગાડીમાં રવાના થવું ફરી એક વખત `કાર ડિપ્લોમસી'ની ઝલક તરીકે જોવામાં આવ્યું હતું. અગાઉ, અમેરિકાએ છેડેલાં
યુદ્ધથી છેડેલાં યુદ્ધથી તાણ વચ્ચે સોમવારે કિર્ગિસ્તાન પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી હતી. ફેબ્રુઆરીમાં
યુદ્ધ શરૂ થયા બાદે બન્ને નેતા વચ્ચે આ રૂબરૂ પહેલી મુલાકાત હતી. પશ્ચિમ એશિયા લાંબા
સમયથી તાણ અને ખાસ કરીને ઈરાન સામે અમેરિકાનાં આક્રમક વલણ વચ્ચે મોદી-મસૂદની મુલાકાત
બેહદ મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે. શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન દરમ્યાન ઈરાની
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને કહ્યું હતું કે, તાણગ્રસ્ત પશ્ચિમ એશિયા
ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા મજબૂત કરવામાં ભારત ઘણી મદદ કરી શકે છે. આવા અનુરોધના
પ્રતિસાદમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સ્થાયી શાંતિ
સુનિશ્ચિત કરવાની દિશામાં કરાઈ રહેલા તમામ પ્રયાસોનું સમર્થન ભારત જારી રાખશે. મસૂદે
મોદીને જણાવ્યું હતું કે, અમેરિકાએ પોતાનાં વચન પૂરાં નથી કર્યાં
છતાં ઈરાન એક અંતિમ સમજૂતી સુધી પહોંચવા પ્રતિબદ્ધ છે. અહેવાલ અનુસાર, ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યંy હતું કે, આ યુદ્ધ
જારી રાખવાથી કોઈને પણ લાભ નથી થવાનો. અમે હજુ પણ આપસી સમજ ઊભી કરવાની દિશામાં કામ
કરી રહ્યા છીએ. બેઠક દરમ્યાન મોદી અને પેઝેશ્કિયાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સાથે જોડાયેલા
સમુદ્રી સહયોગ તેમજ ચાબહાર બંદરમાં સહયોગ અને દ્વિપક્ષી સંબધો પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન
મોદીએ આ ઐતિહાસિક મુલાકાત બાદ જણાવ્યું હતું કે, ભારત આવનારા
સમયમાં ઈરાન સાથે વેપારનો વ્યાપ વધારીને તેમાં વિવિધતા લાવવા માગે છે. દરમ્યાન,
મોદીએ અર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન સાથે પણ મુલાકાત કરી હતી.
બેઠક દરમ્યાન બન્ને નેતાએ સંરક્ષણ, અર્થવ્યવસ્થા, ફાર્મા, માઈનિંગ, શિક્ષણ અને સંસ્કૃતિ
જેવા વિષયોમાં આપસી સહયોગ પર ચર્ચા કરી હતી. બિશ્કેકમાં વડાપ્રધાન મોદીએ ભારતીય શિક્ષણવિદો્,
સંશોધકો, છાત્રો, યોગ અભ્યાસુ
સમુદાય સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
કરી હતી.
મોદી-પુતિનની કાર ડિપ્લોમસી;
દુનિયાને મોટો સંદેશ
નવી દિલ્હી, તા. 31 : કિર્ગિસ્તાનમાં
સોમવારે દિગ્ગજ નેતાઓ વચ્ચે મુલાકાતોના દોર દરમ્યાન મોદી-પુતિનનાં મિલન વખતની શુભચેષ્ટાઓએ
આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. એક ચેષ્ટામાં બન્ને નેતાએ એકમેકને આલિંગન આપ્યું
હતું, તો બીજું કાર ડિપ્લોમસીએ ધ્યાન ખેંચ્યું. દ્વિપક્ષીય
બેઠક બાદ મોદી અને પુતિન એરિનામાં વર્લ્ડ નોર્મેડ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહમાં એક જ કારમાં
બેસીને ગયા હતા.