કિશોર ગોર દ્વારા : ભુજ, તા. 31 : ગુજરાતમાં
આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના તમામ પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ
પ્રાથમિક્તાનાં ધોરણે મળી રહે તે માટે કચ્છમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ
હાથ ધરાતાં અત્યાર સુધી 8.35 લાખથી વધારે તમામ પાત્ર કેટેગરીના વંચિત લાભાર્થીઓનાં
આયુષ્માન કાર્ડ બનાવાયાં છે, ઉપરાંત
એપ ડાઉનલોડ કરી ઘરબેઠા કાર્ડ બનાવવાનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી
અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થી પરિવારો માટે આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં વર્ષ 2023ના જુલાઈ
મહિનાથી 10 લાખ સુધીની વિનામૂલ્યે સારવારનો લાભ આપવાનું નક્કી કરાયું છે. હાલમાં આ
યોજનાની નોંધણીની ઈ-ગ્રામ કેન્દ્રો તથા યોજનામાં જોડાયેલી હોસ્પિટલોમાં સુવિધા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશભાઈ ભંડેરીનાં માર્ગદર્શન હેઠળ ચાલતી કામગીરીમાં
ઘરબેઠા નોંધણી કરી આયુષ્માન કાર્ડ મેળવવા માટે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા https:// beneficiary.nha.gov.in ગૂગલ પ્લેસ્ટોર
પર એપ અપાઈ છે, જે ડાઉનલોડ કરીને નેશનલ
ફૂડ સિક્યુરિટી એક્ટ, કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના,
બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ, આશા કાર્યકર, આંગણવાડી વર્કર - હેલ્પર, મુખ્યમંત્રી અમૃતમ્ વાત્સલ્ય
યોજના (આવક આધારિત કેટેગરી, આયુષ્માન વયવંદના (70થી વધુ વર્ષના)
વગેરે કેટેગરીવાળા લાભાર્થી જાતે મોબાઈલ એપ ઉપર કાર્ડ બનાવી ડાઉનલોડ કરી શકશે. તેનું
માર્ગદર્શન આશા બહેનો- આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારીઓ તથા
ફિલ્ડ સ્ટાફ દ્વારા અપાઈ રહ્યું હોવાની વિગતો જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર બિપિનભાઈએ
આપી હતી.