ભુજ, તા. 18 : રાષ્ટ્રની સરહદોની રક્ષા કરતા
સૈનિક- જવાનો પ્રત્યે દેશવાસીઓના સન્માન, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને
અનુસરી લખપત તાલુકા ભાજપ દ્વારા `જયનાદ ફાઉન્ડેશન'ના સૌજન્યથી સરહદી વિસ્તારના બુદ્ધુ બંદર ખાતે આવેલા બીએસએફ કેમ્પમાં વિશેષ
કાર્યક્રમ યોજાયો હતો. બીએસએફના જવાનોને મીઠાઈ ભેટ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
હતી. દેશની સુરક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહીને કપરા સંજોગોમાં ફરજ બજાવતા જવાનો
સાથે પર્વ અને પ્રસંગોની ખુશીઓ વહેંચીને ભાજપ પરિવાર તથા જયનાદ ફાઉન્ડેશન દ્વારા `દેશના જવાનો આપણા પરિવારનો જ એક ભાગ છે' તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અબડાસાના
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ બીએસએફના જવાનોને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે,
સરહદના રક્ષક જવાનોની તાકાત, શૌર્ય અને દેશભક્તિ
દેશ માટે ગૌરવની બાબત છે. કચ્છ જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા જવાનોને
જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે સ્થાનિક સ્તરે શક્ય તમામ સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી
હતી. ભાજપ અગ્રણી તથા `જયનાદ ફાઉન્ડેશન'ના અધ્યક્ષ જયેશદાન ગઢવીએ જવાનોના શૌર્ય અને
સમર્પણને નમન કરતાં જણાવ્યું હતું કે, દેશની સરહદે તૈનાત જવાનો
કરોડો દેશવાસીઓના વિશ્વાસ અને સલામતીના પ્રતીક છે. કાયક્રમમાં લખપત તાલુકા પંચાયતના
પ્રમુખ પ્રતિનિધિ મેઘજીભાઈ બલિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ,
ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ વિક્રમસિંહ
સોઢા, મોડભાઈ, તાલુકા ભાજપ મહામંત્રી નીતિનભાઈ
પટેલ, જેતમાલજી જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સિદ્ધરાજ
ગઢવીએ કર્યું હતું.