આદિપુર, તા. 18 : દેશની આઝાદી પછી વસેલા આધુનિક નગર આદિપુરમાં શહેરીજનોની મધ્યમાં
આવેલું નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર નગરજનોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર પરિસરમાં
આવેલા ત્રણ મંદિર પૈકી ભગવાન શ્રીરામ મંદિર અને આદ્યશક્તિ અંબાજી માતાજીના મંદિરો પૂર્વ
મુખી છે, જ્યારે કાળા પથ્થરોથી નિર્મિત બાવન ફૂટની ઊંચાઈ
ધરાવતું શિવ મંદિર પશ્ચિમ મુખી છે અને તેની
વિશેષતા હોવાનું 1978થી સંચાલન
કરતી સંસ્થા ઓમ શિવ મંડળીના પ્રમુખ એચ.એચ. નાવાનીએ જણાવ્યું હતું. અહીં મહાશિવરાત્રિ
અને આખો શ્રાવણ મહિના દરમ્યાન વિવિધ આયોજનો થાય છે. વર્ષ 1950 પછી આ મંદિર સંકુલનું બાંધકામ
શરૂ થયા બાદ 3 માર્ચ-1954ના મહાશિવરાત્રિના પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ હતી. હરિ આસરો ટ્રસ્ટના
માનદમંત્રી ડો. મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે,
મંદિરની મૂર્તિ આશરે 600 વર્ષ જૂની છે. નગરના સ્થાપક
સ્વ. ભાઈપ્રતાપજીને સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપનીના સંચાલક સુમતિબેન મોરારજીએ ભેટ આપી
હતી. આ પરિસરનું 1978 સુધી સંચાલન
કર્યા બાદ એસ.આર.સી.એ મંડળીને માસિક રૂા. 11ના ભાડા ઉપર લીઝ ઉપર સોંપ્યું છે. શિવ મંડળી તરફથી નિયમિત રીતે
દર મહિને 300 જેટલી વિધવા જરૂરતમંદ બહેનોને
પાંચ કિલો ઘઉં, મંદિરના સત્સંગ હોલ પાસે
દરોજ બપોરે 100 જેટલા લોકોને
નિ:શુલ્ક ભોજન, જરૂરતમંદ કન્યાઓને લગ્ન
માટે ભેટરૂપ કરિયાવર, પ્રાથમિક શાળાઓમાં મીઠાઈ વિતરણ,
મૈત્રી મંડળની શાળાઓમાં ગણવેશ વિતરણ સહિતની પ્રવૃત્તિઓ કરાતી હોવાનું
માનદમંત્રી પી.એસ. રાજાણીએ જણાવ્યું હતું. અહસ દરરોજ ભક્તોની ભીડ રહે છે.