નખત્રાણા, તા. 11 : અહીં તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે અમૃત મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી થઇ હતી જેમાં પ.પૂ. મહામંડલેશ્વર સ્વામી જનાર્દનહરિજી મહારાજ (ફૈઝપુર-મહારાષ્ટ્ર)એ જણાવ્યું કે, સતપંથ સંપ્રદાયનો સંદેશ છે કે, દાસભાવથી થયેલી સેવાની નોંધ પરમાત્માના દરબારમાં લેવાય છે. `સેવા પરમો ધર્મ' માટે તન-મન-ધનથી ધર્મની તેમજ રાષ્ટ્રની સેવા કરવી જોઇએ. સતપંથ પ્રેરણાપીઠ તીર્થધામ દ્વારા હિન્દુ નવું વર્ષ તેમજ અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું જેમાં ભારતના પ્રાંતોમાંથી પદયાત્રી સંઘોના કાશીનગરી, જાબુદીપ, ભરતખંડ, કુવારિકા ક્ષેત્ર જે આસ્થાનું કેન્દ્ર આ તીર્થધામ રહ્યું છે જેનું મહાત્મ્ય છે. પદયાત્રી સંઘોના સ્વાગત-સામૈયા આ સંસ્થાના ગાદીપતિ પ.પૂ. જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ સંતો-મહંતો-ભાવિક ભક્તજનોની વિશાળ મેદનીની હાજરીમાં સદ્ગુરુ મહારાજના નિશાન, છડી તથા પાદૂકા સાથે ઢોલ-શરણાઇ તેમજ બેન્ડ પાર્ટીની સુરાવલિ વચ્ચે ભાવભર્યું સ્વાગત થયું હતું. આ સંઘો કચ્છ, નાસિક, મુંબઇ, પૂના, નડિયાદ, ગાંધીનગર, સુરત, ખેડા, રાજપીપળા, ધાનોરા, કુક્સ, ફેઝપુર વિ. 20થી 22 જેટલા પદયાત્રી સંઘો જે 450થી 600 કિ.મી. જેટલી લાંબી પદયાત્રી યોજી હતી. હર્ષદભાઇ જે. પટેલે સંતો, મહંતો, પદયાત્રી સંઘોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ.પૂ. મહામંડલેશ્વર સ્વામી જનાર્દનહરિજી મહારાજ અને પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજીએ દેશભરના ખૂણે ખૂણેથી દૂરદૂરના પ્રાંતોમાંથી પદયાત્રા કરી આવનારને આશીર્વાદ આપતાં જણાવ્યું કે, પદયાત્રા અનેકવિધ પ્રકારે હોઇ શકે. પદયાત્રા એ તીર્થયાત્રા છે, પરમ ભની યાત્રા એ પણ યાત્રા છે. સુદામાજીએ દ્વારકાપુરી સુધીની પોરબંદરથી યાત્રા કરેલી એ પણ અનોખી યાત્રા છે. આ પ્રસંગે બાળકોને જીવનમાં ઉપયોગી થાય તેવું પુસ્તક `પ્રેરણા પુષ્પ સુવાસ' તેમજ `અમૃતવાણી' સદ્ગુરુ મહારાજની વાણી જેની ઓડિયો કેસેટ બહાર પાડી સંતો-મહંતો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી ચાલતા ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ સ્કૂલ અને ગુરુકુળના મહંત પુરસોત્તમદાસજી બ્રહ્મલીન થતાં નવા ગુરુકુળના મહંત તરીકે પ.પૂ. યોગ તપોનિષ્ટ પ્રેમદાસ બાપુની વરણી કરવામાં આવી હતી. જેનું નામાકરણ સંસ્થાના ગાદીપતિ પ.પૂ. જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ દ્વારા પ.પૂ. પ્રેમસ્વરૂપદાસજી મહારાજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સતપંથ સંપ્રદાયના સાધુ-સંતો-મહંતો તેમજ નિષ્કલંકી નારાયણ તીર્થધામના ટ્રસ્ટી મંડળના દેવજીભાઇ ભાવાણી (મુંબઇ), હર્ષદ પટેલ (મોટાલાટ વિ. ટ્રસ્ટી મંડળ), ક.ક.પા. સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ ગુરુકુળના ટ્રસ્ટી અબજીભાઇ ધોળુ-ગાંધીનગર, જયંતીભાઇ પોકાર (વડોદરા) વિ. ટીમ, નાનકદાસજી મહારાજ ગૌશાળાના?ટ્રસ્ટીઓ, ક.ક.પા. સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટના કચ્છ પ્રમુખ ડાહ્યાભાઇ ઉકાણી (મુંદરા), જયંતીભાઇ લીંબાણી (દેવપર), વાલજીભાઇ રામજીયાણી (નવી મંજલ), હરસુખભાઇ રૂડાણી (નાના અંગિયા), કચ્છ યુવા સંઘના પ્રમુખ જયંતીભાઇ ભીમાણી (મેરાઉ), મંત્રી લહેશભાઇ અશોકભાઇ માકાણી (કોટડા આ.), નરસિંહભાઇ (ટ્રસ્ટી વિ. કચ્છ પ્રદેશ)ની યુવા સંઘની ટીમે આ વરસે કાર સેવા આપી હતી.