નવી દિલ્હી, તા. 11: યુદ્ધના ઉન્માદ
અને ઊર્જા સંકટની પરિસ્થિતિ વચ્ચે આજે અહીં બ્રિક્સ શિખર સમેલન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્ત્વની દ્વિપક્ષી બેઠક યોજાઈ
હતી. મોદીએ રૂસ-યુક્રેનના યુદ્ધને રોકવા માટે ફરી એક વાર મધ્યસ્થીની તૈયારી બતાવી હતી
અને કાળા સમુદ્રમાં ભારતીઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બંને પક્ષે વાર્ષિક
દ્વિપક્ષી વ્યાપાર અત્યારના 65 અબજ ડોલરથી
વધારીને 2030 સુધી 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનો
નિર્ધાર દર્શાવ્યો હતો. પુતિને ટ્રેડ, રોકાણ, માળખાકીય ક્ષેત્ર, ટેકનોલોજી
વગેરે ક્ષેત્રોને લઈને બ્રિક્સ દેશો વચ્ચે નવા ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પર ભાર મૂક્યો
હતો. 45 મિનિટની વાતચીતમાં બંને નેતા
સંરક્ષણ ક્રિટિકલ મિનરલ્સ, નાગરિક,
અણુઊર્જા, ખાતર સપ્લાય વગેરે ક્ષેત્રે સહકાર વધારવા
સંમત થયા હતા. મોદીએ કહ્યું હતું કે, ઘર્ષણો ઉકેલવા માટે ડાયલોગ
(સંવાદ) અને ડિપ્લોમસી (રાજદ્વારિતા) જરૂરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું
હતું કે, બેઠક દરમ્યાન મોદીએ વાર્ષિક શિખર મંત્રણા માટે
રશિયા આવવાનું પુતિનનું નિમંત્રણ સ્વીકાર્યું હતું. બંને પક્ષ ભારત-રશિયાની ખાસ વ્યૂહાત્મક
ભાગીદારી સઘન બનાવવા સમંત થયા હતા. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું
કે, બંને પક્ષો બ્રહ્મોસ મિસાઈલોના અપગ્રેડેશનની શક્યતાઓ ચકાસવા
સંમત થયા હતા. ભારતને એસ-400 સિસ્ટમ આપવા
અને એસયુ-57 યુદ્ધ જહાજોની સૂચિત ડિલિવરી
અંગે ચર્ચા માટે રૂસ પ્રતિબદ્ધ છે.