નવી દિલ્હી, તા. 20 : ભારતમાં પહેલી
ડેંગ્યૂ રસીને મંજૂરી મળી ગઇ છે. આ રસીનું નામ `કયૂડેંગા' છે,
જે જાપાનની ફાર્મા કંપની `ટાકેડા'એ તૈયાર
કરી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે આ રસી 4થી 60 વર્ષના લોકોને
લગાવવાની મંજૂરી આપી હતી. આ રસીની ખાસિયત એ છે કે,
રસી લેવા પહેલાં વ્યક્તિને અગાઉ ડેંગ્યૂ થયો છે કે નહીં તેનું પરીક્ષણ
કરાવવાની જરૂર નહીં રહે. મતલબ કે, આ રસી કોઇને પણ લગાવી શકાશે.
કુલ્લ બે ડોઝ લેવાના રહેશે. બે ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રહેશે. કયૂડેંગા રસીનું
અત્યાર સુધીમાં 28 હજારથી વધુ
લોકો પર ટેસ્ટિંગ થઇ ચૂકયું છે. કિલનિકલ પરીક્ષણોમાં બીજો ડોઝ લીધાના 12 મહિના બાદ રસી ડેંગ્યૂથી બચાવમાં
80.2 ટકા અસરકારક હોવાના પરિણામ
મળ્યાં છે. ડેંગ્યૂનાં કારણે હોસ્પિટલમાં દાખલ થવાનાં જોખમને 90.4 ટકા સુધી ઓછું કરવામાં પણ કયૂડેંગા
સફળ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) પણ પહેલાં જ કયૂડેંગા રસીની ભલામણ કરી ચૂકી છે.
`હુ'ના જણાવ્યાનુસાર, આ રસીને જાહેર રસીકરણ કાર્યક્રમમાં
સામેલ કરી શકાય છે.