તેલ અલીવ, તા. 23 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મગજમાં છે શું... કે મગજને થયું છે શું તેવા સવાલો
સર્જતાં વર્તનમાં પહેલાં યુદ્ધ ટાળવાની વાત કરી અને પછી થોડીવારમાં જ ચેતવણી પણ
આપી નાખી કે, વાતચીતથી નહીં માને અને સમજૂતી નહીં કરે તો ઈરાન પર સતત બોમ્બમારો કરાશે.
દરમ્યાન ટ્રમ્પે યુદ્ધ સમાપ્તની તારીખ જાહેર કરી હતી. અમેરિકાએ યુદ્ધ પૂરું કરવા 9 એપ્રિલની
તારીખની ઘોષણા કરી હતી. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 48 કલાકમાં
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ન ખુલે તો ઈરાનનાં વીજમથકોને નિશાન બનાવવાની ધમકી આપ્યા બાદ
તનાવ પરાકાષ્ઠાએ પહેંચી ગયો હતો અને 48 કલાકની આ મહેતલ પૂરી થાય તે
પહેલા ટ્રમ્પે જ નવો ફણગો ફોડીને યુદ્ધમાં નાટકીય વળાંક લાવી દીધો છે. ટ્રમ્પે
કહ્યું હતું કે, મધ્યપૂર્વનું યુદ્ધનો નીવેડો લાવવા માટે ફળદાયી વાટાઘાટો ચાલી રહી છે અને
તેમણે પાંચ દિવસ સુધી ઈરાનનાં ઊર્જા મથકો ઉપર હુમલો મોકૂફ રાખી દીધો છે. બીજીબાજુ
ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટ ચાલતી હોવાનું નકારી દીધું હતું. જેને
પગલે રહસ્ય વધુ ઘેરાયું હતું. જો કે અન્ય એક અહેવાલ અનુસાર તુર્કી, ઈજિપ્ત અને પાકિસ્તાનનાં ઉચ્ચસ્તરીય અધિકારીઓ ઈરાન અને અમેરિકા વચ્ચે
મધ્યસ્થીની ભૂમિકામાં આવ્યા છે અને તેમનાં સાથે ટ્રમ્પ પ્રશાસનને વાટાઘાટ ચાલી રહી
છે. ટ્રમ્પે આ વાતચીત હકારાત્મક માર્ગે આગળ વધી રહી હોવાનું કહીને યુદ્ધમાં
શાંતિની આશાનું કિરણ બતાવ્યું હતું. ટ્રમ્પે આજે કહ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ઈરાન સાથે સમજૂતી થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે,
ઈરાન આ સમજૂતી માટે બહુ ઉતાવળ કરે છે અને આ ડીલ પાંચ કે તેનાથી પણ
ઓછા દિવસમાં થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકી દૂત
સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશર અને તેમનાં ઈરાની સમકક્ષો વચ્ચે રવિવારની રાતે વાતચીત
થઈ હતી. આ વાટાઘાટ હકારાત્મક રહી હોવાનાં કારણે જ ઈરાનનાં ઉર્જા માળખા ઉપર હુમલા
પાંચ દિવસ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રમ્પે આગળ એવી આશા
વ્યક્ત કરી હતી કે, ક્ષેત્રમાં શત્રુતાનું પૂર્ણ સમાધાન
નીકળી શકે છે. જો કે ઈરાને ટ્રમ્પનો આવો દાવો નકારી દીધો હતો. બીજીબાજુ
બિનસત્તાવાર અહેવાલો એવા આવી રહ્યાં છે કે, ખરેખર તો તુર્કી,
પાકિસ્તાન અને ઈજિપ્તે આગળ આવીને આ ઘર્ષણમાં મધ્યસ્થતા માટેનાં
પ્રયાસો શરૂ કર્યા છે. જેની સાથે અમેરિકાનાં પ્રશાસનને વાટાઘાટો ચાલી રહી છે. જો
કે, ઈરાનનું કહેવું છે કે, ટ્રમ્પ આવી
વાતો કરીને પોતાની સેનાને હુમલા કરવા માટે સજ્જ થવા સમય અંકે કરી રહ્યાં હોવાની
શંકા છે. આ પહેલા ઈરાની રાષ્ટ્રીય સંરક્ષણ સમિતિએ આડકતરી રીતે દુનિયામાં ઈન્ટરનેટ
ઠપ કરવાની ધમકી પણ આપી દીધી હતી. ઈરાને કહ્યું હતું કે, જો
ઈરાનનાં તટે કે દ્વીપ ઉપર કોઈપણ પ્રકારનું આક્રમણ થશે તો ફારસની ખાડીમાંથી પસાર
થતી સંચારની લાઈનો કાપી નાખવામાં આવશે.
ટ્રમ્પની ઈરાનનાં ઊર્જા મથકોને નિશાને લેવાની ધમકી પછી ઈરાને રવિવારની રાતે
ઈઝરાયલમાં કહેર મચાવી દીધો હતો. ઈરાને એકસાથે 7પ
મિસાઈલોથી ઈઝરાયલ ઉપર હલ્લાબોલ કર્યો હતો. જેને પગલે ઈઝરાયલમાં હાહાકાર મચી ગયો
હતો. તો ઈઝરાયલે લેબનોનમાં લિતાની નદી ઉપરનાં કાસીમિયા બ્રિજને ઉડાડી નાખ્યો હતો.
આ માર્ગ દક્ષિણ લેબનોનમાંથી નીકળવા માટે ચાવીરૂપ છે અને તેને જ ઈઝરાયલે નિશાને લઈ
લીધો હતો.
ઈરાનમાં વેનેઝુએલાની જેમ સરકાર
બનશે : ટ્રમ્પ
તેલ અવીવ, તા. 23 : યુદ્ધ
ટાળવાનો સંકેત આપ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછળથી વળી એવું પણ
કહ્યું હતું કે, વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ નવી સરકાર બનશે. ઈરાનમાં સત્તા પરિવર્તન માટે
એક ખાસ શખ્સ સાથે વાત ચાલી રહી છે. તેવી અટકળોને વેગ આપતા ટિપ્પણી ટ્રમ્પે કરી
હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, અમે ઈરાનના સુપ્ર્રીમ લીડર મુજબતા ખોમેનીનું મોત નથી ઈચ્છતા જો કે,
મુજતબા જીવીત છે કે નહીં, તે નથી જાણતો તેવું
પણ ટ્રમ્પે કહ્યું હતું.