અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં
સમાન નાગરિક સંહિતા-યુનિફોર્મ સિવિલ કોડ-ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ
તેનો વિસ્તૃત અને આખરી અહેવાલ 17મીના મંગળવારે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ
રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટભર્યા અભ્યાસ, રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો
મેળવી, ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કર્યો
છે. આ સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ સી. એલ. મીણા, વરિષ્ઠ એડવોકેટ
આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકર અને સામાજિક
કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થયેલો છે. અત્યારે
વિધાનસભા ખાતે રાજ્યનું બજેટ સત્ર ચાલુ છે અને આગામી એપ્રિલ-મે દરમ્યાન તાલુકા,
જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની
ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે રાજ્ય સરકાર આ સત્રના અંતિમ દિવસો
દરમ્યાન આ અહેવાલને આધારે રાજ્ય સરકાર તેના વૈધાનિક અને કાયદાકીય સ્વરૂપ આપવા માટે
સમાન નાગરિક સંહિતા-યુનિફોર્મ સિવિલ કોડ-ઞઈઈ અંગેનું વિધેયક રજૂ કરીને તેને પસાર કરાવશે
એમ મનાઈ રહ્યું છે. કાયદા વિભાગ અને સંસદીય બાબતોની વિભાગમાં પણ આ અંગે ગતિવિધિ તેજ
થઈ હોવાનું જણાઈ રહ્યું છે. મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતા જે પ્રેઝન્ટેશન
કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે, લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ
પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા
સૂચવવામાં આવ્યું છે. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં
પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં
ધ્યાનમાં રાખવામાં આવી છે.