ભુજ, તા. 1 : કચ્છમાં ઓનલાઈન નાણાકીય છેતરપીંડીના
જુદા-જુદા બનાવોમાં પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ સેલ (એલસીબી) દ્વારા કુલ 52 અરજદારોના ખાતામાંથી સેરવાયેલા
કુલ રૂા. 22,54,212 પરત અપાવ્યા હતા. પોલીસે આપેલી
વિગતો મુજબ, એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ
એચ.આર. જેઠીના માર્ગદર્શનમાં સાયબર ક્રાઈમ સેલે લોન-લોટરી ઠગાઈ, બિનસત્તાવાર ટ્રાન્ઝેક્શન, નોકરીમાં ઠગાઈ, ઓનલાઈન ખરીદી, આર્મીના નામે છેતરપીંડી, ઓએલએક્સ તથા ફેસબુકમાંથી વસ્તુઓ ખરીદીને લગતા ઠગાઈ જેવા બનાવોમાં તાત્કાલિક
મદદરૂપ થઈ ટેકનિકલ તથા માનવીય સંદર્ભોના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં બાવન અરજદારોના
ખાતામાં કુલ રૂા. 22,54,212 બેંક
ખાતામાં પરત અપાવ્યા હતા. આ સાથે પોલીસે લોકોને જાગૃત રહેવા અપીલ કરતાં સાયબર ક્રાઈમથી
બચવા કોઈ પણ અજાણી લિંક કે મેસેજ ખોલવા નહીં, તેમજ ડિજિટલ એરેસ્ટની મોડસ ઓપરેન્ડીના તાબે ન થવું અને જો આવા કોઈ કિસ્સામાં
સપડાયેલી કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવા જણાવાયું હતું.