ગાંધીધામ, તા. 27 : અંજાર તાલુકાનાં દુધઇ નજીક
આવેલા હરિનગર પાસે રાજસ્થાનના એક આધેડને છરી બતાવીને બે શખ્સ નાસી ગયા હતા. બનાવને
પગલે પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર દુધઇ નજીક આવેલાં હરિનગરમાં હનુમાન મંદિર પાસે
આજે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. રાજસ્થાનના બિકાનેરના અશોકકુમાર ધનરાજ લુણાવત
(જૈન) આ બનાવનો ભોગ બન્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ આધેડ ફરિયાદી આજે બપોરે
હરિનગર બાજુ હતા ત્યારે ભુજના રમજાનશા કાસમશા શેખ અને આબિદખાન અબ્દુલખાન પઠાણ નામના
શખ્સો આ ફરિયાદી પાસે આવ્યા હોવાનું દુધઇ પોલીસ પ્રવક્તાએ વિગતો આપતાં જણાવ્યું હતું. આ બંને આરોપીએ આધેડને છરી
બતાવી તેમની પાસેથી રોકડ રૂા. 10 લાખની લૂંટ
ચલાવીને નાસી ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. પોલીસે
ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવમાં બે શખ્સને પોલીસે દોડધામ
કરીને રાઉન્ડ-અપ કરી લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પૂર્વ કચ્છમાં
વધુ એક વેપારી પાસેથી લૂંટના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.