મુંબઈ, તા. 4 : ભારતીય ટીમનું હવેનું લક્ષ્ય
શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં વિજય હાંસલ કરવાનું છે, જેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસમાં
જળવાઇ રહેવાય. શ્રીલંકાની પીચો પર સ્પિનરોની બોલબાલા રહે છે. શ્રીલંકા પાસે સારા સ્પિનર્સ
પણ છે. આથી ટીમ ઇન્ડિયાના બેટર્સની કસોટી થશે. આ ખતરાના સામના માટે બીસીસીઆઇએ બે સ્પિન
બોલર વિપ્રજ નિગમ અને શિવાંગ કુમારને શ્રીલંકા પ્રવાસમાં નેટ બોલર તરીકે સામેલ કર્યા
છે. આ બન્ને આઇપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી ચૂક્યા છે. શ્રીલંકા સામેની
ભારતીય ટેસ્ટ ટીમમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર અને નવોદિત સારાંશ જૈન સ્પિન બોલર તરીકે સામેલ છે. આ ઉપરાંત અગાઉ
હર્ષ દુબે અને તનુષ કોટિયાન નેટ બોલર તરીકે પસંદ થયા હતા. હવે વિપ્રજ નિગમ અને શિવાંગ
કુમાર નેટ બોલર તરીકે સામેલ કરાયા છે.