• શનિવાર, 27 જુલાઈ, 2024

ગાંધી સમાધિનાં નવીનીકરણનું કામ પ્રગતિ હેઠળ

ગાંધીધામ, તા. 20 : મહાત્મા ગાંધીની દિલ્હી ખાતે રાજઘાટ બાદ બીજી સમાધિ આદિપુર ખાતે આવેલી છે. એસ.આર.સી. દ્વારા સંચાલિત આ સમાધિનાં નવીનીકરણનું કામ ચાલુ છે. જે પૈકી પ્રથમ તબક્કાનું કામ પુર્ણ થતા તેનું સ્વામી લીલાશાહ મહારાજની 50મી પુણ્યતિથિ ઉત્સવ અંતર્ગત લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીધામના આદ્યસ્થાપક ભાઈપ્રતાપ ડીયલદાસ અને આચાર્ય ક્રીપલાણી દ્વારા કંડલાની ખાડીમાં બાપુની પવિત્ર અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સમાધિની મુખ્ય રચનામાં મહાત્મા ગાંધીના પવિત્ર અવશેષો છે. આદિપુર ખાતે 12 ફેબ્રુઆરી 1948ના નિર્માણ કરવામાં આવી હતી અને તેની જાળવણી એસ.આર.સી. દ્વારા કરવામાં આવી રહી છે. રાજયના પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતના મુલાકાતી સ્થળોની યાદીમાં ગાંધી સમાધિના સમાવેશ કરાયો છે. એસ.આર.સી.ના ચેરપર્સન અરૂણા જગત્યાણી અને બોર્ડ ઓફ ડીરેકટરે સામાજિક જવાબદારી સમજીને 50 લાખના ખર્ચે સમાધિના નવીનીકરણનું કામ હાથ ધર્યું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામ હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ ઓનર્સ એસોસિએશન દ્વારા પણ નવીનીકરણની ઈચ્છા વ્યકત કરવામાં આવી હતી. હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું લાઈટિંગ અને ફુવારાનું કામ પુર્ણ થઈ ગયું છે. 21મીએ આવતીકાલે સવારે 11 વાગ્યે હરીકૃષ્ણદાસજી મહારાજ, ચિત્રંજનદાસજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સિંધી કોયલ કાજલ ચંદીરામાણી પણ આ વેળાએ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં જોડાવા સૌને અપીલ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang