મુંદરા, તા. 19 : તાલુકાના મહત્ત્વના બારોઇથી
સાડાઉને જોડતા માર્ગ પર ચાલતું પુલ અને રસ્તાનું કામ છેલ્લાં લગભગ એક વર્ષથી વધુ સમયથી
લટક્યું પડ્યું છે અને રાહદારીઓ અને વાહનચાલકો હવે વાજ આવી ગયા હોવાની ફરિયાદ ઊઠી છે.
હવે ચોમાસું માથે છે અને જો તાત્કાલિક મંથર ગતિ નહીં છોડાય તો રસ્તો બંધ થઈ જશે અને
લોકોને લાંબો ફેરવો પડવાનો ભય વ્યક્ત થયો છે. જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે એપ્રિલમાં કામ શરૂ થયું હતું પણ હજુ
પૂર્ણ થયું નથી. આવન-જાવન માટે માત્ર માટી નાખી દેવાઇ છે, જે
ચોમાસામાં ધોવાઈ જશે. આ માર્ગ પર શાળા પણ આવેલી છે અને વિદ્યાર્થીઓને પણ ભારે અગવડ
પડે છે. આસપાસનો વિસ્તાર વિકસી રહ્યો હોવાથી પરિવહન વધ્યું છે. પરંતુ, મહત્ત્વના માર્ગમાં ઝડપ નથી. દરમિયાન જાણકારી મુજબ, નજીકની
આ માર્ગે આવેલી સંસ્કાર સ્કૂલ ટ્રસ્ટ દ્વારા પણ વારંવાર આર એન્ડ બીને લેખિત રજૂઆત કરવામાં
આવી છે અને સ્પીડબ્રેકર મૂકવા પણ માંગણી મૂકાઇ છે. પરંતુ માર્ગ-મકાન ખાતું કોઈ પગલાં
લેતું નથી કે ઝડપ વધારતું નથી.