અંજાર, તા. 12 : સાહિત્ય, સંગીત અને સેવા માટે ત્રણને ગોવર્ધન એવોર્ડ
આપવામાં આવશે. અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા છેલ્લા બે
વર્ષથી સાહિત્ય, સંગીત અને સેવાના ત્રણ એવોર્ડ અપાય છે. 2026ના વર્ષના આ એવોર્ડ જુદી જુદી
પ્રતિભાને જાહેર કરાયા છે. સાહિત્યનો એવોર્ડ રાજકોટના કવિ સંજુ વાળાને જાહેર કરાયો
છે, જેઓ વર્તમાન કવિતાક્ષેત્રના જાણકાર અને ઉત્તમ
ગઝલકાર છે. સંગીતનો એવોર્ડ કચ્છ ખડીરના વેલાભાઈ ભીલને અપાશે, જેઓ કબીરવાણીના ઉત્તમ ગાયક છે. તાજેતરમાં માતીબાની દ્વારા ગવાયેલું તેમનું
ભજન `મનડે જી મારા' કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં
ખૂબ જ લોકપ્રિય થયું છે. સેવાનો એવોર્ડ મોરબીના હસીનાબેન લાડકાને અપાશે, જેઓ છેલ્લા કેટલાંય વર્ષોથી મોરબીની સિવિલ હોસ્પિટલ અને પોલીસની સાથે રહીને
બિનવારસુ લાશની એકલે હાથે અંતિમક્રિયાઓ કરે છે, તેઓ આને જ પોતાનો
ધર્મ માને છે, તેમની સેવાની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ
લીધી છે. ગોવર્ધન એવોર્ડમાં મહંત દ્વારા રોકડ રૂા. 11000, શાલ અને સ્મૃતિચિહ્ન અપાય છે.
આ એવોર્ડ આવનારા બે મહિનાઓ દરમિયાન અપાશે તેવું એવોર્ડ કમિટી દ્વારા જણાવાયું છે.